પ્રાઉડ પાપાઃ બોની કપૂર અને એમની તીન દેવીયાં
પ્રોડયુસર બોની કપૂર ત્રણ પુત્રીના પ્રાઉડ પપ્પા છે એટલે સ્વાભાવિક છે કે 'ડોટર્સ ડે' (૨૪ સપ્ટેમ્બરે)ના રોજ તેઓ પૂરેપૂરા મૂડમાં હોય. બોની માટે એ સ્પેશિયલ ડે છે અને એની ઉજવણી એમણે ઓનલાઇન ઇન્ટરએક્શન રાખીને કરી. સંવાદનો સેતુ બાંધતા કપૂર કહે છે, 'આજે દીકરા-દીકરીઓ વચ્ચે કોઈ ભેદ નથી રહ્યો. મારા સંતાનો (પુત્ર અર્જુન અને પુત્રીઓ- અંશુલા, જહાન્વી અને ખુશી) મારી જિંદગીમાં ઘણો આનંદ અને સ્નેહ લાવ્યા છે. એમણે મને બહુ ઓછો સ્ટ્રેસ આપ્યો છે.'
અંશુલા અને અર્જુન એ બોની કપૂરની પહેલી પત્ની મોનાનાં સંતાનો, જ્યારે જ્હાન્વી અને ખુશી બીજી સુપરસ્ટાર પત્ની શ્રીદેવીનાં સંતાનો. બોનીના નસીબમાં બહુ પત્નીસુખ નથી. એટલેસ્તો બન્ને પત્નીઓનું સમય કરતાં ઘણું વહેલું મૃત્યુ થયું. કપૂર કુટુંબે ખુશી અને ગમ બન્ને જોયા છે. એનો સ્વીકાર કરતા બોની કહે છે, 'મારી વાઇફ શ્રીદેવીનું અવસાન આકસ્મિક હતું, પરંતુ મારે કહેવું જોઈએ કે એના જવાથી મારા જીવનમાં આવેલો શૂન્યાવકાશ મારાં બાળકોએ ભરી દીધો છે અને વળતામાં મારે પણ એમના માટે ફાધર અને મધર- બંને બનવાનું આવ્યું. એટલા માટે કે એમણે બહુ નાની ઉંમરમાં એમણે પોતાની માતા ગુમાવી છે.'
'મિસ્ટર ઇન્ડિયા', 'નો એન્ટ્રી' અને 'વોન્ટેડ' જેવી ફિલ્મો આપનાર બોની કપૂરે ડોટર્સ ડે નિમિત્તે પત્રકારોને પોતાની વહાલી દીકરીઓ સાથેની સ્નેહગાંઠનો વિગતવાર પરિચય કરાવી અંશુલા, જાન્વી અને ખુશીની ખાસિયતો વર્ણવી હતી. એમણે પુત્રીઓ વિશે એક પ્રાઉડ ફાધર તરીકે કરેલી વાતચીતના અંશો માણવા જેવો છે. સૌપ્રથમ તેઓ પોતાની સૌથી નાની દીકરી ખુશીથી શરૂઆત કરે છે.
મેન્ટલી સ્ટ્રોંગ ખુશી ઃ મારી યંગેસ્ટ ડોટર ખુશીને સ્પોર્ટ્સ પ્રત્યે ખાસ લગાવ છે. એને સ્ક્વોશ રમવું ગમે છે. એ મેન્ટલી સ્ટ્રોંગ છોકરી છે. અંશુલા અને જ્હાન્વીથી વિપરીત એને પોતાની લાગણી બતાવતા નથી આવડતી. ક્યારેક જ એ ફેમિલી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ એને બધા માટે ઊંડી દરકાર હોય છે. મને યાદ છે કે ક્યારેક શ્રી અને મારી વચ્ચે ઘરમાં તૂ-તૂ-મૈં-મૈં થતી ત્યારે સૌથી પહેલાં ખુશી અપસેટ થઈ જતી. એ કંઈ બોલે નહિ, પણ એની મોટી મોટી આંખોમાં આંસુ છલકાય ત્યારે મારે એને એવી હૈયાધારણ આપવી પડતી કે બેટા, હું તને અને આપણાં ફેમિલીને છોડીને ક્યાંય જવાનો નથી.
ખુશીએ ઇન્ડસ્ટ્રીમાં સરસ શરૂઆત કરી દીધી છે. એની પાસે 'આર્ચિઝ' ઉપરાંત બીજી બે ફિલ્મો છે. અગાઉ ખુશી જ્યારે પણ બહાર જવા તૈયાર થતી પોતાના ડ્રેસ વિશે મારો ઓપિનિયન લેતી. હવે જ્યારે દીકરીઓ જેમાં ન આવવાની હોય એવી પાર્ટીમાં જવા નીકળી છું ત્યારે હું એમને પૂછી લઉં છું કે આ સૂટ મને શોભે છેને?
જ્હાન્વીની ફેશન સેન્સ ઃ ફેશનમાં આજકાલ શું ચાલે છે એની જ્હાન્વીને બધી જ ખબર હોય. અમે હોલીડે પર વિદેશ જતા ત્યારે ખુશી હોટલના રૂમમાં ટીવી જોયા કરતી અને જ્હાન્વી શ્રી અને મારી સાથે શોપિંગ માટે નીકળી પડતી. એ અમને કપડાં વિશે પોતાનાં ઇન્પુટ્સ પણ આપતી. એ પોતાની મમ્માને બદલાતા સમય સાથે કદમ મિલાવવાની ફરજ પાડતી.
જ્હાન્વી પોતાના દિલથી ચાલે છે. એની પર્સનાલિટી પારદર્શક છે એ વધુ પડતી સેન્સિટીવ પણ ખરી. એ કોઈની વાતોમાં આવી જઈ ભોળવાય જાય એવી છોકરી છે. મારા મતે જ્હાન્વી એની જનરેશનની એક બહેતર એકટ્રેસ છે. વિવિધ ભૂમિકાઓ સરસ રીતે ભજવીને એણે એ પુરવાર કર્યું છે. અહીં હું એક વાત કહીશ કે શ્રીની જેમ જ્હાન્વી પણ એક ઉત્તમ ડાન્સર છે. એનામાં સારી કોમેડી સેન્સ પણ ખરી. અલબત્ત, એની આ ખૂબીનો હજુ સુધી કોઈએ ફિલ્મોમાં ઉપયોગ નથી કર્યો. એને મહેનત કરવી ગમે છે. 'ગુંજન સકસેના' ફિલ્મ માટે મેં એને એરફોર્સની કેડેટ તરીકે શુટિંગ કરતા જોઈ છે. એક સીનમાં એણે કાંટાળી વાડ નીચેથી સરકી દોરડા પર ચડવાનું હતું. એણે એ બેધડક કર્યું ત્યારે મારો જીવ તાળવે ચોંટી ગયો હતો.
અંશુલા, ધ જિનિયસ ઃ અંશુલા અમારા ફેમિલીની એક જિનિયસ વ્યક્તિ છે. બાળપણથી એને ભણવામાં બહુ રસ હતો. કોલંબિયા યુનિવર્સિટીમાંથી એણે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. અંશુલા અર્જુન કરતાં નાની છે, પણ એનામાં મોટી બહેન જેવા તમામ ગુણ છે. એ જતું કરી શકે છે. મોનાના નિધન પછી અર્જુન ઘરમાં એકલો રહેતો હતો. એને માટે અંશુલા ગૂગલની પોતાની હાઇ-પ્રોફાઈલ જોબ છોડીને મુંબઈ પાછી આવી ગઈ હતી. અંશુલા એક સ્ટ્રોંગ અને જમીન પર પગ મૂકીને ચાલનારી વ્યક્તિ છે. પોતાના ફેમિલીના હિતની વાત આવે ત્યારે એ આક્રમક બની જાય છે.
મોના અને શ્રીદેવી હયાત હતી ત્યારે અમારાં સંતાનો વચ્ચે વાતચીતનો ઝાઝો વ્યવહાર નહોતો. અલબત્ત, એમની વચ્ચે વેરઝેર પણ નહોતું. દુબઈમાં શ્રીનું અચાનક અવસાન થયું ત્યારે મારા પર આભ તૂટી પડયું. એ વખતે અર્જુન દુબઈ આવીને મારી પડખે ઊભો રહ્યો. જ્યારે આ ન્યુઝ બ્રેક થયા ત્યારે જ્હાન્વી અને ખુશી પાસે પહોંચી જવામાં અંશુલા સૌથી પહેલી હતી. આવા સંતાનો માટે કોને ગર્વ ન થાય?