TV TALK .
પંકજ ધીરનું ટાઇમ ટ્રાવેલ
લોકપ્રિય ધારાવાહિક 'ધુ્રવ તારા- સમય સદી સે પરે' માં બે દશકનો લીપ આવ્યા પછી તેમાં કેટલાંક નવા કલાકારો ઉમેરાયા છે. આ કલાકારોમાંનો એક છે પંકજ ધીર. 'મહાભારત'ના 'કર્ણ' તરીકે બેહિસાબ ખ્યાતિ પામનાર પંકજ ધીર આ લવ સ્ટોરીમાં ધુ્રવના કડક મિજાજ, શિસ્તના આગ્રહી અને સમયના પાબંદ પિતા 'ગિરિરાજ'ની ભૂમિકા ભજવે છે. મહત્ત્વની વાત એ છે કે 'ગિરિરાજ' સમય અને શિસ્તના સખત આગ્રહી છે. જ્યારે તેમનો પુત્ર 'ધ્રુવ' એટલો જ આળસુ અને મગજનો ખર છે. પરિણામે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ખટરાગ થાય છે. પંકજ ધીર પોતાની આ ભૂમિકા વિશે કહે છે કે મને 'ગિરિરાજ' નો ૧૯મી સદીનો પહેરવેશ બહુ ગમે છે. એક કલાકારતરીકે હું આ પાત્ર ભજવતી વખતે ઉત્સાહથી છલકાઈ જાઉં છું. તેમાં પિતા-પુત્રના જટિલ સંબંધોમાં ૧૯મી સદીનો પડઘો પડે છે.
ગુરપ્રીત સિંહ: ધીરજનાં ફળ મીઠાં
અભિનેતા ગુરપ્રીત સિંહે વર્ષો અગાઉ 'કહીં તો હોગા ' ધારાવાહિકમાં અભિનેતા રાજીવ ખંડેલવાલના સ્થાને 'સુજલ'ની ભૂમિકા ભજવીને અભિનય ક્ષેત્રે શુભારંભ કર્યો. જો કે ત્યાર પછી તેનો સંઘર્ષનો તબક્કો શરૂ થયો. પરંતુ ગુરપ્રીત જેનું નામ. તેણે પરિસ્થિતિ સામે ઘૂંટણિયે ન પડવાનો નિર્ધાર કર્યો અને તેને વળગી પણ રહ્યો. અભિનેતા કહે છે કે મેં શોબિઝમાં મારી કિસ્મત અજમાવવાનું જારી રાખ્યું. અંતે મારા ભાગ્ય આડેનું પાંદડું ખસ્યું અને મને સારી સારી ભૂમિકાઓ મળવા લાગી. તે વધુમાં કહે છે કે જે વખતે મારી પાસે કામ નહોતું તે વખતે પણ હું નકારાત્મક વિચારો નહોતો કરતો. મારી આશા-ઉમ્મીદનો દિવો સતત પ્રજ્વલ્લિત રહ્યો. હું માનું છું કે કામ મળવું કે ન મળવું એ તમારા હાથની વાત નથી. હું સમયના વહેણ સાથે વહેતો રહ્યો અને કામ મેળવવા પર ધ્યાન કેન્દ્રિતકરતો રહ્યો. છેવટે મને મારી ધીરજના મીઠાં ફળ મળવા લાગ્યાં. '
અક્ષય ખોરડિયાનો માઠો અનુભવ
ધારાવાહિક'પંડયા સ્ટોર'માં વર્ષ ૨૦૨૩માં અભિનેતા અક્ષય ખોરડિયાનું કામ પૂરું થયું ત્યાર પછી તેણે ટચૂકડા પડદેથી બ્રેક લઈને ફિલ્મોમાં કામ કરવાનો વિચાર કર્યો. પરંતુ કમનસીબે તેની મૂવી અભેરાઈએ ચડાવી દેવામાં આવી. અક્ષય પોતાના આ માઠા અનુભવ વિશે કહે છે કે મેં એક ફિલ્મ માટે આઠ મહિના સુધી કામ કર્યું હતું. મારા કામમાં મેં જરાય કચાશ નહોતી રાખી. આમ છતાં એક દિવસ અચાનક મને કહી દેવામાં આવ્યું ક કે આ ફિલ્મ હવે આગળ વધારવામાં નહીં આવે. મારા માટે આ બહુ મોટો આંચકો હતો. મેં આ ફિલ્મ પાછળ આઠ મહિના જેટલો લાંબો સમય અને શક્તિ આપ્યા હતાં જે છેવટે વેડફાઈ ગયા હતા. જો કે મને હતાશ થઈને બેસી રહેવું પરવડે તેમ નહોતું. મને ફરીથી કામે વળગવાનું જ હતું. આ આંચકામાંથી બહાર આવવા મેં એક અઠવાડિયા સુધી મેડિટેશન કર્યું. અને હવે મને ટચૂકડા પડદે ફરીથી કામ મળી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય હમણાં 'સુહાગન' માં કામ કરી રહ્યો છે.
પ્રતિક્ષા હોન્મુખેનું કન્ફ્યુઝન
આ વર્ષના માર્ચ મહિનામાં પ્રતિક્ષા હોન્મુખેને રાતોરાત 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માંથી કાઢી નાખવામાં આવી. તેની સાથે સાથે શોના મુખ્ય અભિનેતા શહજાદા ધામીને પણ રવાના કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિક્ષાને કામ મળવું સહેલું નહોતું. પરંતુ તેના નસીબ જોર કરતાં હતાં તેથી અભિનેત્રી ને 'કૈસે મુજે તુમ મિલ ગયે' માં નેગેટિવ રોલ મળી ગયો. પ્રતિક્ષા કહે છે કે 'યે રિશ્તા...' મારા હાથમાંથી ગઈ ત્યારે મને આઘાત લાગ્યો હતો. મેં કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. પરંત મારા પરિવારજનોએ મારું મનોબળ મજબૂત બનાવ્યું અને સદનસીબે મને નવો શો મળી ગયો. મને હજી સુધી નથી સમજાયું કે મને 'યે રિશ્તા...'માંથી શા માટે રાતોરાત કાઢી મૂકવામાં આવી હ તી. ન તો મને શોના સર્જક રાજન સાહીએ આ બાબતે કશું કહ્યું, કે ન મે તેમને પૂછ્યું. જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રતિક્ષા અને શહજાદા ધામીનું વર્તન તદ્ન અનપ્રોફેશનલ હતું.