સાપુતારાના મ્યુઝિયમમાં સચવાયેલી આદિવાસી સંસ્કૃતિ
-રાજ્યમાં આદિવાસી સંસ્કૃતિના મ્યુઝિયમ કુલ પાંચ
છોટાઉદેપુર,તા.15 નવેમ્બર 2018 ગુરૂવાર
સંગ્રહાલય સામાન્ય પ્રજાજનો અને અભ્યાસુઓ માટે એક શૈક્ષણિક સંસ્થાની ગરજ સારે છે. સંગ્રહાલયમાં સંગ્રહિત મૂળ વસ્તુઓ વડે જ્ઞાાન સાધના થતી હોવાથી તે વિદ્યાનું સ્થાન છે. જે તેના માટે વપરાતા મ્યુઝિયમ શબ્દથી સ્પષ્ટ થાય છે. શાળાઓ, કોલેજો કે અન્ય સંશોધન કેનદ્રોમાં ચાલતા અભ્યાસક્રમોમાં દર્શાવાતા વિચારો તથા જ્ઞાાનનો સંગ્રહાલયો પ્રત્યક્ષ પરિચય આપે છે. જે અભ્યાસુઓની તુલના કરવાની શક્તિ, કલ્પનાશક્તિ અને સંશોધનક્ષમતા વધારે ગુજરાત રાજય સંગ્રહાલયની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજો ક્રમ ધરાવે છે.
મ્યુઝિયમના ચાર વિભાગ છે સાપુતારાના સહેલાણીઓ મ્યુઝિયમની મુલાકાતે અવશ્ય જાય છે
જો કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હજી સંગ્રહાલયો નથી. ગુજરાતમાં વિવિધ વસ્તુઓ, વિષયો કે વ્યક્તિવિશેષ સંગ્રહાલયો આવેલા છે. માનવશાસ્ત્ર અને આદિવાસી સંગ્રહાલયોમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં, છોટાઉદેપુર , ભૂજમાં ભારતીય સાંસ્કૃતિક દર્શન સાપુતારા તેમજ રાજકોટમાં સૌરાષ્ટ્રની લોકકલા અને સંસ્કૃતિનું સંપદા સંગ્રહાલયછે.
સમગ્ર ગુજરાતની પુર્વપટ્ટીના ડુંગરાળ અને મોટાભાગે વનસ્પતિ જંગલોના વિસ્તારમાં આદિવાસી પ્રજાનો વસવાટ મુખ્ય છે. આ આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ્ય, આભુષણો, વિભિન્ન જીવનચર્યાઓ અને ચીજવસ્તુઓને પ્રદર્શિત કરતા અનેક સંગ્રહાલયો દેશભરમાં વિકસ્યા છે. આ લુપ્ત થતી સંસ્કૃતિ કદાચ હવે પછીના વર્ષોમાં આદિવાસી સમાજમાં જોવા ન પણ મળે, કારણ કે શહેરી સંસ્કૃતિ, વિકાસ અને આધુનિકતાનો રંગ ત્યાં પણ આવવા લાગ્યો છે. આ સંસ્કૃતિને કાયમી સાચવી રાખતા સંગ્રહાલયો ગુજરાતમાં ઉપર જણાવેલા પાંચ સ્થળોએ છે. અન્ય કેટલાક સંગ્રહાલયમાં પણ એક અલાયદા વિભાગ તરીકે આદિવાસી સંસ્કૃતિનું દર્શન કરાવાય છે. આવા એક સંગ્રહાલયમાં સાપુતારા સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આદિવાસી પ્રજાના ડુંગરાળ જંગલોના પ્રદેશ ડાંગમાં આ સંગ્રહાલય ઉભું કરવામાં આવ્યુ છે. સામાન્ય રીતે પ્રવાસીઓ સંગ્રહાલયમાં ઓછા જતા હોય છે, એમાં પણ બાળકોને સંગ્રહાલયનું ખાસ આકર્ષણ હોતું નથી, પરંતુ સાપુતારા આદિવાસી સંગ્રહાલયની વાત તદ્દન જુદી છે. સાપુતારા પોતે એક નાનુ પ્રવાસી સ્થળ છે. તેમાં પણ તેનું મુખ્ય બજાર ઘણુ નાનુ. આવા મુખ્ય હજારને અડીને આ સંગ્રહાલય આવેલુ છે અને આથી જ અહીં આવતા દરેક પ્રવાસીની એ નજરમાં આવે છે તથા દરેક પ્રવાસી આ સંગ્રહાલયની મુલાકાત લે છે. આવો, આજે આપણે પણ સાપુતારાની સફરે જઇને આ સંગ્રહાલયને શબ્દથી નિહાળીએ.
સંગ્રહાલયની સ્થાપના ૧૯૭૦ માં કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં સ્થાપિત આ સંગ્રહાલય ડાંગ જિલ્લાના મુખ્ય રહેવાસી આદિવાસીઓની સમગ્ર જીવનશૈલી, પોશાક, ઘરેણાં, તહેવારો, ઓજારો, હથિયારોનો ખ્યાલ આપે છે. ડાંગ જિલ્લાનાં ૩૦૦ ગામમાં વસતા ભીલ, કસબી, દુબળા, વાલી, ગામિત આદિવાસીઓની સંસ્કૃતિની ઝાખી કરાવે છે. સંગ્રહ આ સંગ્રહાલયના ચાર મુખ્ય વિભાગો છે. તેમાં આદિવાસીઓનાં સંગીતવાદ્યો, પોશાકો, આભૂષણો તેમજ પ્રાગૈતિહાસિક યુગનાં ઓજારો મુખ્ય છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે વાંસના જંગલો આવેલા છે. એટલે કે વાંસ આદિવાસીની તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વાંસમાંથી બનેલા નમૂનાઓ પણ અહીં પ્રદર્શિત છે. આદિવાસીઓનાં કપડાં, વાસણો, પરંપરાગત વસ્તુઓ, ઘરના ઉપયોગી સાધનો, સંગીત વાદ્યો, ગાડાં, આભૂષણો વગેરે મુખ્ય છે. આ ઉપરાંત આદિવાસીનાં દોરાતાં ચિત્રો, ટેટૂ, પથ્થરોનાં સુશોભનો, લાકડા (થડ) નું નકશીકામ, માટીનાં વાસણો, માટીનાં સુશોભનો, રમકડાનો સંગ્રહ પણ છે.