ભારતના GDPના વિકાસ સાથે નોકરીઓમાં વધારો થયો છે, ગુણવત્તા પણ સુધરી છે
- IMFના એક્ઝિક્યુટિવ ડાયરેકટરનું મંતવ્ય
- લોકડાઉન સમયે અને કોવિદનાં બીજાં મોજા સમયે સ્થિતિ કથળી હતી પરંતુ પછીથી પરિસ્થિતિ ઝડપભેર સુધરી ગઈ છે
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનેટરીફન્ડ (આઈએમએફ)ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને ભારત સરકારના પૂર્વ પ્રમુખ આર્થિક સલાહકાર, કે.વી.સુબ્રમન્યમે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના વિકાસની પ્રસંશા કરતાં કહ્યું હતું કે તેના વિકાસ સાથે ભારતમાં નોકરીની તકો વધી છે. તેટલું જ નહીં પરંતુ તે સાથે કારીગરોની અને કર્મચારીઓની ગુણવત્તા પણ ઊંચી ગઈ છે.
એ.એન.આઈ.ને આપેલી વિશેષ મુલાકાતમાં સુબ્રમન્યમે વધુમાં જણાવ્યું હતું કે પિરિયોકિક લેબર ફોર્સ સર્વે (PLFS) પરથી મળેલા આધારભૂત ડેટા, સ્પષ્ટત: જણાવે છે કે ભારતમાં રોજગારીની તકો વધી છે. રોજગારી, નોકરીઓ પણ વધી છે. સાથે કામદારો અને કારીગરોની ક્ષમતા (ગુણવત્તા) પણ વધી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અને કોવિદનાં બીજાં મોજાં દરમિયાન નોકરીની અને રોજગારીની તકો ઘટી હતી. તે પી.એલ.એફ.ના ડેટા ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે. પરંતુ પછીથી પરિસ્થિતિ ઝડપભેર સુધરી ગઈ છે.
તેમણે કહ્યું કે, નિયમિત પગાર મેળવતા કર્મચારીઓની સંખ્યા જે ૨૦૧૭-૧૮માં ૧૧.૫ ટકરોડ હતી તે અત્યારે વધીને ૧૩ કરોડ થઇ છે.
નોકરીઓમાં થયેલો આ વધારો મહિલા કર્મચારીઓમાં સૌથી વધુ થયો છે. તેમાં ૨૯.૪ ટકાનો વધારો થયો છે. જ્યારે પુરૂષ કર્મચારીઓમાં ૮.૮ ટકાનો વધારો થયો છે. વિધિવત્ નોકરીઓમાં ૨૫.૩ ટકાનો વધારો થયો છે. તેથી નોકરિયાતોની સંખ્યામાં ૧.૨ કરોડનો વધારો થયો છે. તેમા પણ આઈ.એમ.એફ.ના એક્ઝિક્યુટિવ ડાયરેકટરે આ મુલાકાતમાં જણાવ્યું હતું.