રાજનાથ, ગડકરી, શાહ... મોદી કેબિનેટના કયા મંત્રીને મળ્યું હતું સૌથી વધુ ફંડ, જુઓ ચોંકાવનારા આંકડા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Modi Cabinet

Image: IANS



Budget Distribution To Ministers In Interim Budget 2024-25: ભાજપે ફરી એકવાર NDA ગઠબંધનની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ બજેટની તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ભાજપ તમામ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી શકે છે. મોદી 3.0 કેબિનેટમાં વડાપ્રધાન મોદીએ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર જેવા ઘણાં દિગ્ગજોને એ જ જૂનું મંત્રાલય આપ્યું છે. જોકે, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર જેવા કેટલાક નવા ચહેરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

બજેટ 2024-25માં જૂની બાકી નીતિઓને વેગ આપવાની સાથે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, અને અન્ય સેક્ટર્સ માટે અમુક મોટી જાહેરાતો કરી શકે છે. જો કે, ફેબ્રુઆરી, 2024માં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં આ દિગ્ગજ મંત્રીઓને મોટુ બજેટ ફાળવવામાં આવ્યું હતું. આવો જાણીએ કોના મંત્રાલય પાસે કેટલું ફંડ...

નિર્મલા સીતારમણ

સીતારમણ ફરીથી નાણા મંત્રી બન્યા છે. વચગાળાના બજેટમાં નાણા મંત્રાલયને રૂ. 18.5 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે કુલ બજેટનો સૌથી વધુ 39 ટકા હિસ્સો હતો. તેમની પાસે કોર્પોરેટ બાબતોનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. જેની પાછળ રૂ. 667 કરોડ ફંડ ફાળવ્યું હતું. 

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ બીજી વખત સંરક્ષણ મંત્રી બન્યા છે અને સંરક્ષણ મંત્રાલયનું કુલ બજેટ રૂ. 6.2 લાખ કરોડ છે અને નાણાકીય વર્ષ 2025ના કુલ બજેટમાં તેનો બીજો સૌથી વધુ (13%) હિસ્સો છે.

શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કેન્દ્રીય કેબિનેટમાં નવા સભ્ય છે, તેમની પાસે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. કૃષિ મંત્રાલયને રૂ. 1.3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે ગ્રામીણ વિકાસ માટે રૂ. 1.8 લાખ કરોડનું બજેટ છે. ચૌહાણ પાસે કુલ બજેટનો 6.5% હિસ્સો છે.

અશ્વિની વૈષ્ણવ

રેલ્વે મંત્રી પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનો હવાલો પણ છે. રેલવેનું બજેટ રૂ. 2.55 લાખ કરોડ છે, જ્યારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનું બજેટ રૂ. 21,000 કરોડ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનું બજેટ રૂ. 4,000 કરોડ છે. વૈષ્ણવ કુલ બજેટ ફાળવણીનો 5.9% હિસ્સાનું સંચાલન કરે છે.

નીતિન ગડકરી

નીતિન ગડકરી ફરી એકવાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી બન્યા છે. તે મંત્રાલય માટે ફાળવવામાં આવેલા રૂ. 2.78 લાખ કરોડનું સંચાલન કરશે, જે દેશના બજેટના 5.8% જેટલો હિસ્સો ધરાવે છે, જે પાંચમા ક્રમની સૌથી વધુ ફાળવણી છે.

જેપી નડ્ડા

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષને કેન્દ્ર સરકારમાં કેમિકલ અને ખાતર મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. આ મંત્રાલયનું બજેટ રૂ. 1.68 લાખ કરોડ છે અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું બજેટ રૂ. 90,000 કરોડ છે. તેઓ કુલ રૂ. 2.59 લાખ કરોડનું બજેટ ધરાવે છે.

પ્રહલાદ જોષી

કર્ણાટકના ભાજપના નેતાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો નવો હવાલો મળ્યો છે, જેનું બજેટ રૂ. 2.13 લાખ કરોડ છે અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયનો હવાલો પણ ધરાવે છે.  જેનું બજેટ રૂ. 12,850 કરોડ છે. તેઓ સામૂહિક રીતે રૂ. 2.26 લાખ કરોડ અથવા કુલ બજેટના 4.7% ફંડ સંચાલન માટે ધરાવે છે.

અમિત શાહ

અમિત શાહે રૂ. 1.4 લાખ કરોડના બજેટ સાથે ગૃહ મંત્રાલય અને રૂ. 1,200 કરોડના બજેટ સાથે સહકાર મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. શાહ ભારતના બજેટનો 2.9% હિસ્સાનું સંચાલન કરે છે.

 રાજનાથ, ગડકરી, શાહ... મોદી કેબિનેટના કયા મંત્રીને મળ્યું હતું સૌથી વધુ ફંડ, જુઓ ચોંકાવનારા આંકડા 2 - image


Google NewsGoogle News