RBIના ડિજિટલ રૂપીનો આજથી પ્રાયોગિક ધોરણે ઉપયોગ
- પ્રારંભમાં સરકારી સિક્યુરિટીઝમાં સેકન્ડરી માર્કેટના વ્યવહારની પતાવટ કરવાની છૂટ અપાઈ
- પ્રથમ પ્રયોગના અનુભવને આધારે આગળ જતાં ઈ-રૂપીના વપરાશનો વ્યાપ વધારાશે
શરૂઆતમાં ઉપયોગ માટે નવ બેન્કોને પસંદ કરાઇ
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તેના ડિજિટલ રૂપીનો ૧લી નવેમ્બર એટલે કે આવતીકાલથી હોલસેલ સેગમેન્ટમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરશે. હોલસેલ સેગમેન્ટ બાદ એક મહિનાની અંદર ચોક્કસ પસંદગીના સ્થળોએ રિટેલ સેગમેન્ટમાં વપરાશ માટે છૂટ અપાશે એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલ યાદીમાં જણાવાયું હતું.
હોલસેલ સેગમેન્ટમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ પ્રારંભમાં સરકારી સિક્યુરિટીઝમાં સેકન્ડરી માર્કેટના વ્યવહારની પતાવટ કરવાની છૂટ અપાઈ છે.
ઈ-રૂપીના ઉપયોગથી બેન્કો વચ્ચેના કામકાજ વધુ સક્ષમ રીતે પાર પડવાની અપેક્ષા હોવાનું યાદીમાં જણાવાયું હતું. પ્રથમ પ્રયોગના અનુભવને આધારે આગળ જતાં ઈ-રૂપી મારફત અન્ય હોલસેલ ટ્રાન્ઝકશન્સ તથા સરહદ-પાર પેમેન્ટસ અંગે વિચાર કરવામાં આવશે.
પ્રાયોગિક ધોરણે ઉપયોગ માટે એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, યુબીઆઈ, એચડીએફસી બેન્ક સહિત નવ બેન્કોને પસંદ કરવામાં આવી છે.
ઈ-રૂપી મારફત કઈ રીતે વ્યવહાર કરી શકાશે તે ટૂંક સમયમાં જણાવાશે એમ પણ રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેન્ડ ડિજિટલ કરન્સી (સીબીડીસી) પર રિઝર્વ બેન્કે ઓકટોબરના પ્રારંભમાં કન્સેપ્ટ નોટ બહાર પાડી હતી.
સીબીડીસી પેમેન્ટનું માધ્યમ હશે અને દરેક નાગરિકો, વેપાર ગૃહો તથા સરકાર તેનો ઉપયોગ કરી શકશે અને તેને બેન્ક મની અથવા રોકડમાં રૂપાંતરિત કરી શકાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેન્ક બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીઝનો સતત વિરોધ કરતી રહી છે. આવી કરન્સીઝને કોઈ અન્ડલાઈંગ વેલ્યુ ન હોવાથી તેનો રિઝર્વ બેન્ક વિરોધ કરતી હોવાનું માનવામાં આવે છે.
સીબીડીસી દેશની કરન્સી હોવાથી તે વિશ્વસ્નિય અને સલામત હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.