SIP ઈન્વેસ્ટરો સાવચેત : જાન્યુઆરીમાં 61.33 લાખથી વધુ એકાઉન્ટ બંધ થયા
- જાન્યુઆરીમાં 56 લાખ નવા એસઆઈપી એકાઉન્ટો ખુલ્યા સામે 61 લાખથી વધુ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે
- નવા SIP રજીસ્ટ્રેશનની તુલનાએ બંધ થયેલા એકાઉન્ટોની સંખ્યા વધુ : ડિસેમ્બરમાં રૂ.26,459 કરોડના ઇન્ફ્લોની સામે જાન્યુઆરીમાં રૂ. 26400 કરોડનું રોકાણ
મુંબઈ : શેર બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહેલા ધોવાણના પરિણામે રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં જાન્યુઆરીમાં રોકાણ પ્રવાહ એકંદર જળવાઈ રહ્યા છતાં ૩.૬ ટકાનો ઘટાડો નોંધાયા સાથે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી થતાં રોકાણમાં રોકાણકારો સાવચેત બન્યા છે. જાન્યુઆરીમાં એસઆઈપી એકાઉન્ટો બંધ થવાનો આંક, નવા રજીસ્ટર્ડ થયેલા એકાઉન્ટોના આંકથી વધી ગયો છે.
જાન્યુઆરીમાં ૫૬ લાખ નવા એસઆઈપી એકાઉન્ટો ખુલ્યા સામે ૬૧ લાખથી વધુ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. આમ નેટ ધોરણે એસઆઈપી એકાઉન્ટમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો છે. બંધ થયેલા એકાઉન્ટનોની સંખ્યા જે ડિસેમ્બર ૪૪.૯૦ લાખ હતી, એ જાન્યુઆરીમાં ૬૧.૩૩ લાખ થઈ છે.
જ્યારે નવા એસઆઈપી રજીસ્ટ્રેશન ડિસેમ્બરમાં ૫૪.૨૭ લાખ એકાઉન્ટ થયા હતા, એ જાન્યુઆરીમાં ૫૬.૧૯ લાખ થયા છે. જ્યારે એસઆઈપી થકી રોકાણ પ્રવાહ જે ડિસેમ્બરમાં રૂ.૨૬,૪૫૯ કરોડનો નોંધાયો હતો, એ જાન્યુઆરીમાં રૂ.૨૬,૪૦૦ કરોડ નોંધાયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડામાં દર્શાવાયું છે.
બજારના જાણકારોનું માનવું છે કે, રોકાણકારો એસઆઈપીઝ કેન્સલ કરી રહ્યા હોય સંકટનો પ્રથમ સંકેત અને ચિંતા છે. આ એસઆઈપી રદ થવાનો ટ્રેન્ડ ફેબુ્રઆરીમાં વેગ પકડે તો નવાઈ ન પામશો.
એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું કામ માત્ર ફંડના સંચાલન અને બેન્ચમાર્કને આઉટપર્ફોર્મ કરવાનું માત્ર હોતું નથી, પરંતુ રોકાણકારો અને ઈન્ટરમીડિયરીના હેન્ડહોલ્ડિગનું પણ હોય છે, રોકાણકારો સાથે સતત વાતચીત કરવાનું અને દીર્ધાયુષ્યના સંદેને આગળ વધારવાનું પણ છે.
અલબત અમુક સમીક્ષકોનું માનવું છે કે, આ હજુ ટ્રેન્ડ ન કહી શકાય. છેલ્લા બે ત્રિમાસિકમાં ઓટો અને કન્ઝયુમર ડયુરેબલ્સના વપરાશમાં ઘટાડા સાથે માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ફુગાવો અને ઉપભોક્તાનો ઓછો વિશ્વાસ કદાક ઊંચા ખર્ચ તરફ દોરી જાય છે, જે ટૂંકાગાળા માટે એસઆઈપીની સંખ્યાને અસર કરે છે.
બજાર કરેકશન સેન્ટિમેન્ટને પ્રભાવિત કરી શકે છે, તે સ્વિકારતા તેમનું કહેવું છે કે, એસઆઈપી પ્રવાહ મજબૂત રહે છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંગઠન એમ્ફીએ હકીકતને હાઈલાઈટ કરતાં કહ્યું છે કે, એસઆઈપી પ્રવાહમાં ઘટાડો નજીવો હતો અને એકાઉન્ટોમાં ઘટાડો મુખ્યત્વે એક્સચેન્જો અને આરટીએઝ વચ્ચેના સમાધાનને કારણે થયો હતો. જેના કારણે લગભગ ૨૫ લાખ એકાઉન્ટનું કરેકશન-ઘટાડો જોવાયો છે.