બજેટમાં ટેક્સ વધારાની જાહેરાત સાથે આજે શેરબજારમાં વેચવાલીનું પ્રેશર, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Stock Market

Stock Market Today: બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં વધારાની અસરના કારણે શેરબજારમાં આજે શુષ્ક માહોલ જોવા મળ્યો છે. માર્કેટ ઘટાડે ખૂલ્યા બાદ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. જો કે, સ્ટોક સ્પેસિફિક ખરીદીનું પ્રમાણ વધતાં રોકાણકારોની મૂડી રૂ. 3 લાખ કરોડ વધી છે.

સેન્સેક્સ આજે ઘટાડે ખૂલ્યા બાદ 341.75 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, બાદમાં 10.41 વાગ્યે 145.35 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારો કેપિટલ ગેઈન ટેક્સની વૃદ્ધિમાં પોતાને એડજસ્ટ કરતાં નજરે ચડ્યા હતા. નિફ્ટીએ સમાચાર લખાયા ત્યાં સુધી 24000નું લેવલ જાળવી રાખ્યું છે, જે માર્કેટમાં સુધારાનો અવકાશ દર્શાવે છે. નિફ્ટી 10.43 વાગ્યે 34.60 પોઈન્ટ ઘટી 24444.45 પર કારોબાર થઈ રહ્યો હતો.

બીએસઈ માર્કેટ કેપ 10.44 વાગ્યે 449.16 લાખ કરોડ થયુ હતું. કુલ ટ્રેડેડ 3720 શેર્સમાંથી 2651 શેર્સ સુધારા તરફી અને 905 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 172 શેર્સ વર્ષની ટોચે અને 260 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. 153 શેર્સમાં લોઅર સર્કિટ અને 16 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 

આ પણ વાંચોઃ બજેટથી રોકાણકારો નિરાશામાં, LTCG અને STCG, STTમાં વધારો

સરકારી કંપનીઓના શેર્સમાં આકર્ષક ઉછાળો

બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવતાં પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. એમએમટીસી 15.46 ટકા, એમઆરપીએલ 4.13 ટકા, એનએલસી ઈન્ડિયા 3.83 ટકા, એલઆઈસી 3.58 ટકા, ઓએનજીસી  3.30 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા.કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ ક્ષેત્ર અને ટેક્સ બચત પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામીણ માગમાં વધારો કરવા પ્રોત્સાહનો તેમજ રોજગાર સર્જન પર ફોકસ કરવામાં આવ્યું છે.

આઈટીસી શેર તેજીમાં

કેન્દ્રીય બજેટમાં તમાકુ પર ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતાં આઈટીસી શેર 5.5 ટકા સુધી ઉછળ્યા બાદ આજે વધુ 4 ટકા ઉછળી રૂ. 500નું લેવલ ક્રોસ કરી ગયો છે. આઈટીસીનો શેર 3.7 ટકા ઉછળી 510.60ની નવી ટોચે પહોંચ્યો હતો. જે છેલ્લા એક વર્ષમાં 10.5 ટકા અને છેલ્લા એક માસમાં 4.4 ટકા વધ્યો છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

બજેટમાં ટેક્સ વધારાની જાહેરાત સાથે આજે શેરબજારમાં વેચવાલીનું પ્રેશર, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો 2 - image


Google NewsGoogle News