BIG NEWS | માધબી પુરી બુચ અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરો: ACB કોર્ટનો આદેશ
FIR on Madhabi Puri Buch : મુંબઈની વિશેષ ACB કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIના ટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે 30 દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
ACB કોર્ટે કડક ટિપ્પણી કરી
વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે, તેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે. કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ 153(3) CRPC હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કોર્ટે ટિપ્પણીમાં એસીબી અપરાધિક એમ.એ.સં.603/2024નો પણ ઉલ્લેખ કર્યો છે.
બૂચ તાજેતરમાં જ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું
માધબી પુરી બુચનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર કેન્દ્ર સરકારે આ પદ માટે પાંડેના નામની જાહેરાત કરી છે. સેબીના વડાની જવાબદારી સંભાળ્યા બાદ બુચનો 28મી ફેબ્રુઆરી છેલ્લો દિવસ હતો. સેબી ઓફિસની પરંપરા મુજબ ગયા શુક્રવારે બૂચને ફેરવેલ આપવાની હતી, પરંતુ તેમ ન થયું અને માધબી બૂચને ફેરવેલ વિના જ જતા રહેવું પડ્યું હતું.
માધબી પુરી બુચ પર આરોપ શું હતો?
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.
આ પણ વાંચો : Microsoft Outlook ની સર્વિસ દુનિયાભરમાં ડાઉન, યુઝર્સ હેરાન થયા, કંપનીએ શું કહ્યું?