લોકસભાની ચૂંટણી: સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી વહેલી શરૂ કરશે

- ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી વધુ પ્રાપ્તિ કેન્દ્રો શરૂ કરવા યોજના

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણી: સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી વહેલી શરૂ કરશે 1 - image


મુંબઈ : દેશના ખેડૂતો ટેકાના ભાવ સહિત પોતાની વિવિધ માગણીઓ માટે સરકાર પર દબાણ લાવવા એક તરફ આંદોલન કરી રહ્યા છે ત્યારે વર્તમાન મોસમમાં સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી વહેલી શરૂ કરવા યોજના ધરાવે છે.

સામાન્ય રીતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ૧લી એપ્રિલથી શરૂ થતી હોય છે, પરંતુ વર્તમાન મોસમ માટે વહેલી ખરીદી શરૂ કરવા રાજ્યોને છૂટ આપવામાં આવી છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા  સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ૧લી માર્ચ પછી ગમે ત્યારે શરૂ થવાની સંભાવના છે. 

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારનું આ પગલું આવી પડયું હોવાનું માનવામાં આવે છે, એમ સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. 

ખેડૂતોના આંદોલન છતાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પર અસર નહી પડે અન્ન સચિવ સંજિવ ચોપરાએ સ્પષ્ટ કર્યું હતું. 

દેશમાં પંજાબ તથા હરિયાણામાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને આંદોલનમાં આ રાજ્યોનો જ ખેડૂતો જોડાયેલા છે. દેશમાં વર્તમાન મોસમમાં ઘઉંના પાકની સ્થિતિ સારી છે અને તાપમાનની ઉત્પાદન પર અસર પડી નથી. 

વર્તમાન વર્ષમાં ઘઉંનું ઉત્પાદન ૧૧.૪૦ કરોડ ટન રહેવા સરકારનો અંદાજ છે. જો કે ટેકાના ભાવે કેટલી ખરીદી કરવી તે હજુ જાહેર કરાયું નથી. 

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા બિહાર જેવા રાજ્યોમાં વધુ પ્રાપ્તિ કેન્દ્રો ખોલવાની પણ સરકારે તૈયારી રાખી હોવાનું અન્ન મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 


Google NewsGoogle News