વર્ષોથી બેંક એકાઉન્ટમાં પડેલા 'લાવારિસ' રૂપિયા ઉપાડવાની સરળ પ્રોસેસ, જાણો કેવી રીતે કરી શકાશે ક્લેમ
Unclaimed Deposits Claim: 10 વર્ષ સુધી જો કોઈ ખાતામાં પૈસા રહે છે અને કોઈ તેનો દાવો કરતું નથી, તો આવી રકમ દાવા વગરની થાપણની શ્રેણીમાં રાખવામાં આવે છે. આવા પૈસા તેના હકદાર માલિકોને મોકલવા માટે, ભારતીય રિઝર્વ બેંકે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ મુજબ તમામ બેંકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે દાવા વગરના નાણાં ખાતાધારકો અથવા તેમના સંબંધીઓને પહોંચાડવામાં આવે તે માટે બેંકોએ ખાસ વ્યવસ્થા પણ કરી છે.
અનક્લેમ્ડ રકમને કઈ રીતે ક્લેમ કરવી?
RBIના નિયમોને ધ્યાનમાં રાખીને બેંકદ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર લાવારિસ ખાતાઓની માહિતી અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી ગ્રાહકો આ વેબસાઈટ પરથી માહિતી મળી શકે. ત્યારબાદ તે બેંકની શાખાએ જઈને KYC પ્રક્રિયા પૂરી કરી શકે છે અને પૈસાનો દાવો કરી શકે છે. જો તમારા પૈસા દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વર્ષોથી જમા છે, તો તમે તેનો દાવો પણ સરળતાથી કરી શકો છો. જેમાં તમારે KYC માટે આઈડી પ્રૂફ, સરનામું અને ફોટો સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ તમે તમારી ઈચ્છા મુજબ ખાતું ચાલુ પણ રાખી શકો છો અથવા તો પૈસા ઉપાડીને તે બંધ પણ કરાવી શકો છો.
નોમિની અથવા વારસદાર કેવી રીતે દાવો કરી શકે?
જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય, તો આવી સ્થિતિમાં નોમિની અથવા કાનૂની વારસદાર દ્વારા ખાતાની રકમનો દાવો કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવી પડશે. તેમજ ત્યાં જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવવાના રહેશે. પરંતુ જો કોઈ કંપની કે પેઢી ખાતામાં જમા કરાયેલા નાણાંનો દાવો કરે છે તો કંપનીના વડાની સહી ખુબ જ જરૂરી બની રહેશે.
તમે UDGAM પોર્ટલ પર દાવો કરી શકો છો
RBIએ 17 ઓગસ્ટ 2023ના રોજ UDGAM પોર્ટલ શરુ કર્યું છે, જેથી બેંકોમાં પડેલ લાવારીસ ભંડોળને તેના હકદાર સુધી પહોંચાડી શકાય. આ પોર્ટલની મદદથી તમે સરળતાથી આવા એકાઉન્ટ્સ શોધી શકો છો. આ પોર્ટલમાં દેશની 30 થી વધુ બેંકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. આમાં SBI, PNB, Axis Bank, ICICI, HDFC, કેનેરા બેંક જેવી ઘણી બેંકો સામેલ છે.