૭૫% અસુરક્ષિત ધિરાણ ધરાવતી ESAF સ્મોલ બેંકમાં રોકાણ કરવું જોખમ સમાન
- પ્રમોટર, વેચાણ કર્તા જુના શેરધારકોની શેરની ખરીદ કિંમત રૂ.૧૦ થી રૂ.૪૦ અને ઈસ્યુમાં રોકાણકારોને રૂ.૬૦ સુધીના ભાવે અપાશે
- રોકાણકારોએ IPOમાં રોકાણ કરતાં પહેલા આટલું જાણવું જરૂરી
અમદાવાદ : બેંકિંગ ક્ષેત્રે અત્યારે એક તરફ મોટી બેંકો અને ઘણી મિડ સાઈઝ બેંકો પોતાની બિઝનેસ જાળવવા અનેક પડકારોનો સામનો કરી રહી છે, અને ઊંચા વ્યાજ દરોને કારણે લોન ડિફોલ્ટરોના જોખમનો સામનો કરી રહી છે, ત્યારે સ્મોલ ફાઈનાન્સ બેંકો માટે એનપીએનું જોખમ સવિશેષ વધવાના એંધાણ મળી રહ્યા છે.
આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં અનસિક્યોર્ડ ધિરાણ આપનારી બેંકોમાં થાપણદારો અને રોકાણકારોની મૂડી અસુરક્ષિત બની જાય છે. આવી જ એક સ્મોલ ફાઈનાન્સ બેંક ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંક છે, જે તેના કુલ ધિરાણના ૭૫ ટકા અસુરક્ષિત( નેટ ઓફ પ્રોવિઝન્સ) હોવાનું મોટું જોખમ ધરાવે છે.
શેર દીઠ રૂ.૫૭ થી રૂ.૬૦ પ્રાઈસ બેન્ડથી રૂ.૪૬૩ કરોડનો આઈપીઓ, રૂ.૭૨.૩ કરોડની ઓફર ફોર સેલ(ઓએફએસ) લઈને મૂડી બજારમાં આવેલી ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં પ્રમોટરો, વેચાણકર્તા શેરધારકોની શેર ખરીદીની સરેરાશ કિંમત રૂ.૧૦.૧૧, રૂ.૧૦.૧૬ અને રૂ.૪૦.૦૭ પ્રતિ શેર છે. કંપનીએ અગાઉ માર્ચ ૨૦૨૧૭ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન રૂ.૧૦.૧૫ થી રૂ.૭૫ની કિંમતની રેન્જમાં વધુ ઈક્વિટી શેરો ઈસ્યુ કર્યા હતા. ૩૦, જૂન ૨૦૨૩ મુજબ તેના કુલ ધિરાણના ૭૫ ટકા અનસિક્યોર્ડ એટલે અસુરક્ષિત કેટગરીનું ધિરાણ આપી ચૂકી છે.
સામાન્ય રીતે માઈક્રોફાઈનાન્સ અત્યંત જોખમી સેગ્મેન્ટ ગણાય છે અને કોઈપણ વિપરીત સંજોગોમાં આ ક્ષેત્રે બેંકોએ આપેલું ધિરાણ ડૂબવાનું મોટું જોખમ રહેલું હોય છે. મહામારીના દિવસોમાં ઘણી સ્મોલ ફાઈનાન્સ બેંકોનો ડૂબત લોન-ધિરાણનો આંક અસાધારણ વધતો જોવાયો હતો. આ સાથે બેંકની સરેરાશ કુલ એનપીએ પણ છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૫.૭ ટકા અને નેટ એનપીએ ત્રણ ટકા રહી છે.
બેંક વધુ પડતી બે રાજ્યો કેરળ અને તમિલ નાડુ ફોક્સ્ડ છે. જે આ બે રાજોયમાં કુલ ધિરાણના ૬૬ ટકા અને કુલ થાપણોના ૮૩ ટકા ધરાવે છે. માર્ચ, ૨૦૨૩ મુજબ નિયમનો મામલે ૨૭૨ રિસ્ક બેઝડ સુપરવિઝન ટ્રાન્ચ થ્રીમાંથી ૧૭નું પૂર્વ જરૂરીયાતોનું પાલન કરવામાં ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંક નિષ્ફળ રહી હતી.
રિઝર્વ બેંક દ્વારા બેંકને પેનલ્ટી ફટકારવાના સંજોગોમાં બિઝનેસ પર નેગેટીવ અસર જોવાઈ શકે છે. બેંક ભૂતકાળમાં કેવાયસીની આવશ્યકતાઓનું સમયસર પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે. જેથી આ જોખમી પરિબળોને ધ્યાનમાં લઈને ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંકના આઈપીઓમાં સમજી વિચારીને મૂડી દાવ લગાવવી જોઈએ એવું બજારના નિરીક્ષકોનું માનવું છે.
બેંકિંગ ક્ષેત્રે હવે એચડીએફસી બેંક સહિતની મોટી બેંકો ટીયર-૩ અને ટીયર ૪ શહેરોમાં તેમની શાખાઓ ખોલી વિસ્તાર કરી રહી છે. ત્યારે વધતી હરીફાઈના માહોલમાં ઈએસએએફની બિઝનેસ વૃદ્વિને પણ નેગેટીવ અસર થઈ શકે છે.