યુએઈ જતા પહેલા આ નિયમો જાણી લો, બેંક બેલેન્સ જોતા જ અધિકારીનું ફટક્યું ને પાછા ઈન્ડિયા મોકલી દીધા

Updated: May 26th, 2024


Google NewsGoogle News
યુએઈ જતા પહેલા આ નિયમો જાણી લો, બેંક બેલેન્સ જોતા જ અધિકારીનું ફટક્યું ને પાછા ઈન્ડિયા મોકલી દીધા 1 - image


UAE: જો તમે પણ પહેલી વખત UAE રજાઓ ગાળવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અબુધાબી અથવા દુબઈ પહોંચતા પહેલા એ ચોક્કસ ખાતરી કરી લેજો કે, તમારા બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડનું મિનિમમ બેલેન્સ 60 હજાર રૂપિયા છે અને તમારી પાસે રિટર્ન ટિકિટ પણ છે. જો આ ન હોય તો તમારે UAE એરપોર્ટથી જ ભારત પરત ફરવું પડી શકે છે. કારણ કે UAEએ હવે ટુરિસ્ટ વિઝાના દુરુપયોગને રોકવા માટે નિયમો કડકાઈ દાખવી છે. એરપોર્ટ પર યાત્રીઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ બંને શરતોને પૂરી ન કરનારા ઘણા મુસાફરોને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ પરથી ભારત પરત મોકલી પણ દેવામાં આવ્યા છે. 

એક અહેવાલમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, તમિલનાડુ અને કેરળ એરપોર્ટ પરથી ફ્લાઈટ લઈને UAE જનારા એવા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેઓ પહેલીવાર UAE આવ્યા છે. દુબઈ અને અબુધાબી એરપોર્ટ પર હવે ઘણી સખ્તી છે. આ સાથે જ આ બંને શરતો પૂરી ન કરનારા ઘણા મુસાફરોને એરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં મિડલ-ઈસ્ટની યાત્રા કરનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ભાડામાં પણ વધારો થયો છે.

બીજી તરફ એરલાઈન્સ કંપનીઓએ પણ એકલા મુસાફરી કરતા ટૂરિસ્ટ વિઝા ધરાવતા 20 થી 35 વર્ષના યાત્રીઓનું ચેકિંગ પણ સઘન બનાવી દીધું છે જેથી તેમને ડિપોર્ટ થવાથી બચાવી શકાય. જો કોઈ દેશ કોઈ યાત્રીને ડિપોર્ટ કરે તો તેને તેના મૂળ દેશમાં પરત લાવવાની જવાબદારી તેને લઈ જનારી એરલાઈન્સની હોય છે. આ કારણોસર તમિલનાડુ અને કેરળના એરપોર્ટ પર ચેક-ઈનમાં વધુ સમય લાગી રહ્યો છે.

ટ્રાવેલ અને ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓને UAE ઈમિગ્રેશન દ્વારા લાદવામાં આવેલી સખ્તીથી વાકેફ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ નિયમો અને શરતોને પૂરી કરીને જ મુસાફરી કરવાની સલાહ આપી રહ્યા છે. ચેન્નાઈ મેટ્રો ટ્રાવેલ્સના બશીન અહેમદે કહ્યું કે, UAEએ કડક કાર્યવાહી એટલા માટે શરૂ કરી છે કારણ કે કેટલાક લોકો પ્રવાસી વિઝાની આડમાં UAEમાં કામ કરવા જઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાની રિટર્ન ટિકિટ કેન્સલ કરી દે છે અને યુએઈમાં જ રોકાઈ જાય છે. સાચા પ્રવાસીઓ, ફેમિલી અને ગ્રુપ પ્રવાસીઓને કોઈ સમસ્યા નથી.



Google NewsGoogle News