કૃષિ નિકાસ વધારવા છ વર્ષ જૂની નીતિની સમીક્ષા હાથ ધરવા સરકારની વિચારણા
- ઊભરી રહેલી વિદેશ બજારોમાં હાજરી વધારવા ભારત પ્રયત્નશીલ
મુંબઈ : વૈશ્વિક બજારના બદલાઈ રહેલા ગણિતોને ધ્યાનમાં રાખી છ વર્ષ જૂની કૃષિ નિકાસ નીતિની સમીક્ષા કરવા સરકાર વિચારી રહી છે. ભારતની કૃષિ નિકાસ વધારવાના પ્રયાસો જરૂરી હોવાનું સરકાર માની રહી છે.કૃષિ નિકાસ નીતિની સમીક્ષા કરવા પાછળનો હેતુ દેશની કૃષિ જણશોની સ્પર્ધાત્મકતા વધારવા, વૈશ્વિક ધોરણોનું પાલન કરવા તથા વેલ્યુ એડેડ પ્રોડકટસને પ્રોત્સાહન આપવાનો રહેલો છે.
પરંપરાગત ભાગીદારો સાથે નિકાસ સંબંધો જાળવી રાખી સરકાર નવી ઊભરતી બજારોમાં દેશની કૃષિ પેદાશોને સ્થાન અપાવવા માગે છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
બદલાઈ રહેલી બજાર માગને ધ્યાનમાં રાખી કૃષિ નિકાસ નીતિની સમીક્ષા કરવી રહી જેથી નિકાસ ટાર્ગેટસ સિદ્ધ કરી શકાય. નાણાં વર્ષ ૨૦૨૩માં ભારતની કૃષિ નિકાસનો આંક જે ૫૧.૧૨ અબજ ડોલર હતો તે નાણાં વર્ષ ૨૦૨૪માં ઘટી ૪૮.૭૭ અબજ ડોલર જોવા મળ્યો હતો.
વૈશ્વિક માગમાં ફેરબદલ, વેપાર ભાગીદારીમાં વિસ્તરણ તથા કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીના વિકાસે કૃષિ નિકાસ પદ્ધતિ તથા મથકો પર પ્રભાવ પાડયો હોવાનું સરકાર માની રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
કૃષિ નિકાસ નીતિની સમીક્ષામાં હાલની નીતિથી થયેલા ફાયદા અને જે ક્ષેત્રમાં સુધારો કરવાનો રહે છે, તેને ઓળખી કઢાશે. ભારતની કૃષિ નિકાસમાં ચોખા, ફળો, ચા, કોફી, ઘઉં વગેરેનો સમાવેશ થાય છે. જો કે વેશ્વિક સ્તરે ઉદભવેલ ભૂ-રાજ્કીય પ્રતિકૂળતાને કારણે કૃષિ નિકાસ પર અસર થઇ છે.