"બેન્કોમાં પૈસા જમા કરવાથી ખચકાઈ રહ્યા છે લોકો, નાણામંત્રી સીતારમણે કરવી પડી અપીલ "

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
"બેન્કોમાં પૈસા જમા કરવાથી ખચકાઈ રહ્યા છે લોકો, નાણામંત્રી સીતારમણે કરવી પડી અપીલ  " 1 - image


RBI: નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકો બેન્કોમાં પૈસા જમા કરાવવાથી દૂર રહેતાં હોવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકને સંબોધિત કર્યા પછી, તેમણે કહ્યું કે બેન્કોએ તેમની મુખ્ય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને લોકોને નાણાં જમા કરાવવા આકર્ષિત થાય તે માટે નવી અને આકર્ષક યોજનાઓ રજૂ કરવાની જરૂર છે. બજેટ બાદ, નાણા મંત્રી સામાન્ય રીતે આરબીઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકને સંબોધિત કરે છે.

તેમણે કહ્યું કે સ્થાનિક બચત વધુને વધુ અન્ય રોકાણ પ્રોડક્ટ્સમાં જઈ રહી છે, તેથી આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. સીતારમણે કહ્યું કે આરબીઆઈ અને સરકાર બંને બેન્કોને તેમની મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહી રહ્યા છે. તેઓએ આક્રમક રીતે થાપણો મેળવવા અને ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે  બેન્કોની મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ છે. લોન અને ડિપોઝિટ ગ્રોથમાં તફાવતની સ્થિતિમાં બેન્કોએ ડિપોઝિટ મેળવવા પર ધ્યાન આપવું જોઈએ.

આરબીઆઈની છૂટનો લાભ લોઃ સીતારમણ

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ તમને વ્યાજ દરોમાં છૂટછાટ આપી છે. આ ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરીને તેઓએ ડિપોઝિટને આકર્ષક બનાવવી જોઈએ. નવી પ્રોડક્ટ્સ રજૂ કરવી જોઈએ અને ડિપોઝિટ ઊભી કરવી જોઈએ. તેમણે બેન્ક અધિકારીઓને મોટી અથવા બલ્ક ડિપોઝીટને બદલે નાના બચતકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અરજ કરી હતી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું કે અમે ડિપોઝિટ અને લોન ગ્રોથ વચ્ચે લગભગ ત્રણથી ચાર ટકાનો તફાવત જોઈ રહ્યા છીએ. ડિપોઝિટનું પ્રમાણ ઘટી રહ્યું છે ડિજિટલી લોન આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ ફેરફારને ધ્યાનમાં લેતાં બેન્કોએ ડિપોઝિટને વેગ આપવા વિવિધ પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ."બેન્કોમાં પૈસા જમા કરવાથી ખચકાઈ રહ્યા છે લોકો, નાણામંત્રી સીતારમણે કરવી પડી અપીલ  " 2 - image


Google NewsGoogle News