નાણામંત્રી નિર્મલાના બજેટમાં રેલવેનો ઉલ્લેખ જ નહીં, ફંડની ફાળવણીમાં 1 રૂપિયો પણ ન વધાર્યો
Railway Budget 2025: વર્ષો સુધી અલગ રજૂ થતા રેલવે બજેટને વર્ષ 2017માં તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ કેન્દ્રના બજેટમાં ભેળવી દીધું હતું. આ પછી દર વર્ષે બજેટના ભાષણમાં રેલવેને થતી ફાળવણી અને રેલવેની નવી યોજનાઓ અને સુવિધા અંગે જાહેરાત થતી આવતી હતી. જોકે શનિવારે રજૂ થયેલા બજેટમાં રેલવેની ફાળવણી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બજેટ ભાષણમાં રેલવે શબ્દનો ઉલ્લેખ માત્ર બે વાર થયો છે અને બન્ને વખતે રેલવેને લગતા ટેક્સમાં ફેરફાર અંગે જ છે.
જોકે બજેટ સાથેના દસ્તાવેજોમાં રેલવે અંગેની જાણકારી ઉપલબ્ધ બને છે. આ દસ્તાવેજ રેલવેની ફાળવણીમાં સરકારે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી. જુલાઈમાં રજૂ થયેલા બજેટમાં રૂ.2.65 લાખ કરોડના મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી હતી. બજેટ 2025-INDIAN 26માં પણ મૂડીરોકાણ માટે આટલી જ રકમની ફાળવણી કરવામાં આવી છે.
બજેટ સિવાય બહારથી ઉપાડવામાં આવતી રકમ પણ રૂ.10,000 કરોડ ઉપર સ્થિર રાખવામાં આવી છે. રેલવે બજેટમાં મૂડીરોકાણની વિગતો જાહેર કરવામાં આવી છે પણ ક્યાં રેલવે રૂટ ઉપર, કઈ નવી ટ્રેન કે મુસાફર સેવાઓ એ અંગે કોઈપણ વિગતની જાહેરાત કરવામાં આવી નથી માત્ર ફાળવવામાં આવેલી રકમની જ જાહેરાત છે.