ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને MEP હટાવી
Commodity News : કેન્દ્ર સરકારે તહેવાર ટાણે ખેડૂતોની હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પણ દૂર કરી દીધી છે. સરકારે કોમોડિટીની નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર લાગુ પડતા ટન દીઠ 490 ડૉલરની MEP દૂર કરી છે.
સરકારે અગાઉ નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો હતો
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે, ‘બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ માટેની MEPની જરૂરિયાતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે.’ ઉલ્લેખનિ છે કે, આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને નિકાસ માટે MEP લાગુ કરી હતી.
આ પણ વાંચો : RBI ની યુનિયન બેન્ક સહિત પાંચ નાણાકીય સંસ્થાઓ પર કડક કાર્યવાહી, ખાતેદારોને થશે અસર?
જુલાઈ 2023માં પ્રતિબંધ લદાયો હતો
સરકારે 20 જુલાઈ-2023ના રોજ બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે તેના પરનો કોઈપણ પ્રતિબંધ હટાવી દેવાયો છે. આ પગલાં એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે દેશમાં સરકારી ગોડાઉનોમાં ચોખાનો પૂરતો સ્ટોક છે અને છૂટક કિંમતો પણ નિયંત્રણમાં છે. સરકારના આ નિર્ણયને કારણે દેશના અનેક ખેડૂતોની આવકમાં વધારો થશે.
એપ્રિલ-ઓગસ્ટમાં 20.1 કરોડ ડોલરની નિકાસ કરાઈ
આ પહેલા સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક વધારવા માટે બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત ખતમ કરી હતી. દેશમાં આ વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન 20.1 કરોડ ડોલરના બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી હતી. 2023-24માં આ આંકડો 85.25 કરોડ ડૉલર હતો.
સરકારે પ્રતિબંધ છતાં કેટલાક દેશોમાં નિકાસને મંજૂરી આપી હતી
નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સરકાર મિત્રતાના આધારે માલદીવ, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત અને આફ્રિકન દેશોમાં ચોખાની નિકાસને મંજૂરી આપી રહી હતી. ચોખાની આ વિવિધતાનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે અને વૈશ્વિક બજારોમાં પણ તેની માંગ છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં મોટા પ્રમાણમાં ભારતીય પ્રવાસીઓ રહે છે.