હવાઈ મુસાફરો માટે મોટી જાહેરાત, 120 શહેરોમાં શરુ થશે ઉડાન યોજના
Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓએ ઉડાન યોજના પર એક મોટી જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, ઉડાન યોજનાથી 120 નવા શહેરને જોડવામાં આવશે. આ યોજના હેઠળ દસ વર્ષમાં 120 નવાં ઍરપોર્ટ બનશે. જેનાથી 4 કરોડ વધારાના મુસાફરોની ક્ષમતા વિકસિત થશે.
નાના ઍરપોર્ટની કાયા બદલાશે
નાણાંમંત્રીએ જણાવ્યું કે, ઉડાનની સફળતાથી પ્રેરિત થઈને એક સંશોધિત યોજના શરુ કરવામાં આવશે. આ યોજના પહાડી, મહત્ત્વાકાંક્ષી અને ઉત્તર-પૂર્વીય પ્રાદેશિક જિલ્લાઓમાં હેલિપેડ અને નાના ઍરપોર્ટની કાયા પણ બદલી નાખશે. સરકારના આ નિર્ણયનો ફાયદો 120 કરોડ લોકોને થશે. આ સાથે જ બિહારમાં એક ગ્રીનફીલ્ડ ઍરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે.
શું છે ઉડાન યોજના?
21 ઑક્ટોબર, 2016ના દિવસે RCS (Regional Connectivity Scheme)- ઉડાન અથવા 'ઉડે દેશ કા આમ નાગરિક'ની શરુઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ, ભારતમાં જે સ્થળોએ હવાઈ સેવાઓ નથી તેમને હવાઈ સંપર્ક સાથે જોડવાનો હતો. ઉડાનનો કોન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે જોડાયેલો છે. વડાપ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું હતું કે, તે ચંપલ પહેરેલા લોકોને વિમાનમાં ચઢતા જોવા ઇચ્છે છે.
આ પણ વાંચોઃ Budget 2025: આજે ઈન્કમ ટેક્સ પર કોઈ જાહેરાત નહીં, આવતા અઠવાડિયે લાવશે નવું બિલ
વિમાનની વધી માંગ
આ યોજનાના વિસ્તારથી તમામ આકારોના નવા વિમાનોની માંગ વધી છે. આ યોજના હેઠળ રૂટ્સ પર વિમાનોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. તેમાં એરબસ 320/321, બોઇંગ 737, એટીઆર 42 અને 72, ડીએચસી ક્યુ 400, ટ્વિન ઓટર, એમ્બ્રેયર 145 અને 175, ટેકનમ પી 2006ટી, સેસના 208બી ગ્રાન્ડ કારવાં ઈએક્સ, ડોર્નિયર 228, એરબસ એચ 130 અને બેલ 407 જેવા વિમાન સામેલ છે.