ખાંડ એક્સપોર્ટ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, યથાવત રહેશે પ્રતિબંધ, DGFTએ જાહેર કર્યું નોટિફિકેશન
Image Source: Twitter
- રો શુગર, રિફાઈન્ડ શુગર, વ્હાઈટ સુગર અને ઓર્ગેનિક શુગરના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર
Sugar Export Ban: કેન્દ્ર સરકારે આજે ખાંડ એક્સપોર્ટ અંગે મોટું એલાન કર્યું છે. દેશમાં ખાંડના એક્સપોર્ટ પર પ્રતિબંધ 31 ઓક્ટોબર 2023 બાદ પણ યથાવત રહેશે. તેમાં રો શુગર, રિફાઈન્ડ શુગર, વ્હાઈટ સુગર અને ઓર્ગેનિક શુગર તમામ સામેલ છે. તહેવારોની સીઝન દરમિયાન ખાંડની કિંમતોમાં આવેલી તેજીના કારણે સરકારે ખાંડ એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાને લઈને આદેશ જારી કર્યો છે.
DGFTએ જાહેર કર્યું નોટિફિકેશન
DGFTના નોટિફિકેશન પ્રમાણે આ માહિતી મળી છે. જોકે, DGFTના નોટિફિકેશનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, યુરોપિયન યુનિયન અને અમેરિકા આ પ્રતિબંધ હેઠળ નથી આવતા અને તેમને એક્સપોર્ટ ચાલુ રહેશે. આવું CXL અને TRQ ક્વોટા હેઠળ કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો : મંત્રાલયની ચેતવણી, ખાંડ સ્ટોકની મંગળવાર સુધીમાં આપવી પડશે માહિતી, નહી તો થશે દંડ
નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અન્ય તમામ બાબતો અને નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. માત્ર રો શુગર, રિફાઈન્ડ શુગર, વ્હાઈટ સુગર અને ઓર્ગેનિક શુગરના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ખાંડ કંપનીઓને પણ સરકારે આપ્યો હતો આદેશ
ખાંડના ભાવમાં આવેલા તાજેતરના ઉછાળા બાદ સરકારે ખાંડ કંપનીઓને 12 ઓક્ટોબર સુધીમાં ઉત્પાદન, ડિસ્પેચ, ડીલર, રિટેલર અને વેચાણનો સંપૂર્ણ ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. જો એવું કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની પણ વાત કહી હતી. સરકારે ખાંડ મિલોને 10 નવેમ્બર સુધીમાં NSWS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે પણ કહ્યું હતું.
ખાંડના ભાવ આસમાને પહોંચ્યા
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના તાજેતરના અહેવાલ પ્રમાણે એ ખબર સામે આવી હતી કે, ખાંડના ગ્લોબલ ભાવ સપ્ટેમ્બર મહિનામાં એટલા ઊંચા સ્તરે પહોંચી ગયા છે જે લગભગ 13 વર્ષમાં સૌથી વધુ છે. સંગઠનનું કહેવું છે કે ભારત અને થાઈલેન્ડમાં અલ નીનોના કારણે શેરડીના પાકને પણ અસર થઈ હતી જેની અસર ખાંડની કિંમતો પર દેખાઈ રહી છે.