2000ની 10 હજાર કરોડ રૂપિયાની નોટ હજુ પણ સિસ્ટમમાં', RBI ગવર્નરે નોટ બદલવા અંગે આપ્યું મોટું નિવેદન
લોકો પાસે રૂ.2000ની કરન્સી હજુ પણ 10,000 કરોડ રૂપિયાની નોટો : RBIના ગર્વનરે
RBI ગર્વનર શક્તિદાસે વિશ્વાસ સાથે કહ્યું કે, બાકીની નોટો પણ પરત આવી જશે
નવી દિલ્હી, તા.20 ઓક્ટોબર-2023, શુક્રવાર
ભારતીય રીઝર્વ બેંકના ગર્વનર શક્તિદાસે (RBI Governor Shaktikanta Das) ફરી રૂપિયા 2000ની નોટોને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. RBIના ગર્વનરે કહ્યું કે, 2000ની કરન્સી પરત આવવાની કામગીરી યથાવત્ છે અને લોકો પાસે માત્ર રૂ.10,000 કરોડની નોટો જ બચી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આ નોટો પણ પરત આવી જશે.
લોકો પાસે હજુ પણ રૂ.2000ની 10,000 કરોડ રૂપિયાની નોટો
તેમણે કહ્યું કે, 2000 રૂપિયાની નોટો પરત આવી રહી છે અને સિસ્ટમમાં માત્ર 10,000 કરોડ રૂપિયાની નોટો જ ફરી રહી છે. આ રકમ પણ પરત આવવાની આશા છે. આ મહિનાની શરૂઆતમાં દાસે કહ્યું હતું કે, પરત લેવામાં આવી રહેલી રૂ.2000ની નોટોમાંથી 87 ટકા નોટો બેંકોમાં જમારૂપે પરત આવી ગઈ છે, જ્યારે બાકીની કરન્સી પણ પરત આવી જશે.
RBIએ 19 મેએ નોટો પરત ખેંચવાની જાહેરાત કરી હતી
આ અગાઉ આરબીઆઈએ બેંકોમાં બે હજાર રુપિયાની નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ આરબીઆઈએ નોટ બદલવા અને ખાતામાં જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે 19મી મેના રૂપિયા 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વખતે કુલ રૂપિયા 3.56 લાખ કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટસમાંથી 29 સપ્ટેમ્બર-2023ના અંત સુધીમાં કુલ રૂપિયા 3.42 લાખ કરોડની નોટસ બેન્કોમાં પરત આવી ગઈ હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.