રાજ્યોની તેમની ભાષા પ્રમાણે નવરચના થઈ હતી

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
રાજ્યોની તેમની ભાષા પ્રમાણે નવરચના થઈ હતી 1 - image


- સ્વાયત્તતા સાથે ચેડાં કરવાના માર્ગો શોધી કઢાયા છે

- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્

- બંધારણની કેટલીક જોગવાઈઓ સાથે ભારત સ્વતંત્ર છે  જે  સ્વતંત્રતાની  વ્યાપકતા દર્શાવે છે

- નેટ ટેકસ રેવેન્યુમાં રાજ્યોના 41 ટકા હિસ્સાને ઘટાડી અંદાજે 31 ટકા કરાયો છે

- બંધારણની સમવર્તી યાદીની એન્ટ્રીસ 47+4માં અનેક  વિષયો આવરી લેવાયા છે 

ભારત વિવિધ રાજ્યોનો બનેલો દેશ છે તેવી બિનવિવાદીત માન્યતા પર મેં આ લેખ લખવાનું શરૂ કર્યું છે. દેશના રાજ્યોની યાદી ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ઠમાં ઉલ્લેખાયેલ છે.  બ્રિટિશ શાસિત પ્રદેશો તથા રજવાડાઓ સ્વૈચ્છીક રીતે અખંડ ભારતમાં જોડાવા માટે તૈયાર થયા હતા જે તેની હકારાત્મક બાજુ છે. નવા ભારતની રચના સાથે રાજ્યોની તેમની ભાષા પ્રમાણે નવરચના થઈ હતી કારણ કે એક રાજ્ય માત્ર વહીવટી દ્રષ્ટિએ જ અલગ પ્રદેશ નહતો પરંતુ તેની સાથે ભાષા, સંસ્કૃતિ, ઈતિહાસ અને રાજકીય ઓળખ ુુપણ સંકળાયેલી હતી. 

 શંકા વગર સ્વતંત્રતા

આપણે કેટલા સ્વતંત્ર છીએ તે અંગે આપણે બોલી શકીએ છીએ. બંધારણની કેટલીક જોગવાઈઓ સાથે ભારત સ્વતંત્ર છે  જે  સ્વતંત્રતાની ે વ્યાપકતા દર્શાવે છે  પરંતુ કેટલીક જોગવાઈઓ સ્વતંત્રતાને મર્યાદિત પણ બનાવે છે.  ભારતની રચના સમયે ભારતીય બંધારણે એક સ્વાયત્ત દેશ તરીકેની પરિકલ્પના કરી હતી. મારી દલીલને ભારપૂર્વક રજુ કરવા હું અહીં કલમ ૩૬૮(૨)નો ઉલ્લેખ કરી રહ્યો છે જે હેઠળ સંસદ દ્વારા બંધારણમાં કેટલાક સુધારા માટે સંબંધિત ખરડાનું કાયદામાં રૂપાંતર થાય તે પહેલા તેને પચાસ ટકા રાજ્યોના વિધાનમંડળની મંજુરી લેવી જરૂરી છે. 

સુધારા માટે સંસદની સત્તા એક વિવાદાસ્પદ વિષય છે. જો કે સુપ્રીમ કોર્ટે ૧૯૭૩ તથા ૧૯૮૦માં કેસની સુનાવણી વખતે એવું સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના મૂળભૂત માળખા અથવા વિશિષ્ટતાઓ બદલી શકાય નહીં. ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે, સ્વાયત્તતા એ બંધારણની મૂળભૂત વિશિષ્ટતા છે. 

સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ સાથે સહમત ન થતા હોય તેમ કેન્દ્ર સરકારે સ્વાયત્તતા સાથે ચેડાં કરવાના માર્ગો શોધી કાઢયા છે. એક રાજ્ય વહીવટી, ધારાકીય તથા નાણાંકીય સત્તા ધરાવે છે. ભાજપ સરકારે આ સત્તાઓને કઈ રીતે કચડી નાખી છે, તેના પર આપણે નજર નાખીએ.

વહીવટી સત્તાઃ

કલમ ૧૫૪ અને ૧૬૨ હેઠળ, એક રાજ્યને વહીવટી સત્તા છે અને તે એવી દરેક બાબતો માટે છે જે અંગે રાજ્યને કાયદો બનાવવાની સત્તા છે. પોલીસ એ રાજયનો વિષય છે. ડીજીપી (કાયદો તથા વ્યવસ્થા)ની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા થાય છે. જો કે પાત્ર આઈપીએસ અધિકારીના નામ યુપીએસસીને પૂરા પાડવાનું રાજ્ય માટે આવશ્યક બનાવીને અને યુપીએસસી દ્વારા નિશ્ચિત કરાયેલા ત્રણ ઓફિસરો સુધી જ રાજ્યની પસંદગી સિમિત રાખીને કેન્દ્રએ રાજ્યની સત્તા પર તરાપ મારી  છે. નીટ દાખલ કરીને કેન્દ્રએ તબીબી કોલેજોમાં ભારત સ્તરની આ પરીક્ષામાં ભારત સ્તરે મેળવાયેલા માર્કસ-રેન્કસના આધારે જ પ્રવેશ આપવાનું રાજ્યો માટે ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આંશિક રીતે ભંડોળ પૂરા પડાતી સ્કીમ્સને ભંડોળ પૂરા પાડવામાં કેન્દ્ર આનાકાની કરી રહી છે. આ માટે કાલ્પનિક કારણો પૂરા પાડવામાં આવે છે. નવી શાળાઓ શરૂ કરવામાં નિષ્ફળ ગઈ હોવાની દલીલ કરી કેરળને ભંડોળ પૂરા પાડવાનું નકારી કઢાયું હતું. નીચા જન્મદરને કારણે બાળકોની સંખ્યા થોડીક જ રહેતા કેટલીક શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો હોવાની કેરળની દલીલને સાંભળવામાં આવી નહોતી. 

ધારાકીય સત્તાઃ

બંધારણની સમવર્તી  યાદીની એન્ટ્રીસ ૪૭+૪માં   એ એવા  વિષયો  આવરી લેવાયા છે જેના પર સંસદ તથા રાજ્ય વિધાનમંડળ બન્ને કાયદા બનાવી શકે છે. પરંતુ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા વગર કેન્દ્રએ અનેક વિષયો જેમ કે, સિવિલ પ્રોસિજર્સ, વન વિભાગ, ઔષધ, ઈજારાશાહી, ટ્રેડ યુનિયન્સ, શિક્ષણ, સામાજિક સલામતિ બાબતે કાયદા બનાવી દીધા છે. કલમ ૨૫૪ (૨) હેઠળ સમવર્તી યાદીમાંના  વિષય સંદર્ભમાં  રાજ્યોને અપાયેલી સત્તાના પાલન સામે પણ મને શંકા છે. સમવર્તી  (કન્કરન્ટ લિસ્ટ) યાદી હવે કેન્દ્રની યાદી બની ગઈ હોય હોવાનું જણાય છે. રાજ્યોની પરવાનગી વગર સમવર્તી  યાદીમાંના વિષયો બાબતે કાયદા બનાવી નાખવાની સંસદની પદ્ધતિને રોકવી રહી.

તાજેતરમાં જ પસાર કરાયેલા ત્રણ ફોજદારી કાયદા આના ઉદાહરણો છે. ફોજદારી કાયદો તથા ફોજદારી પ્રક્રિયા એ કન્કરન્ટ લિસ્ટમાં આવરી લેવાઈ છે છતાં કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજ્ય સરકારની પરવા કરી નથી. નિયુકત વ્યક્તિઓની એડ હોક કમિટિ દ્વારા આ ખરડાના તૈયાર કરાયેલા મુસદ્દા પર પણ રાજ્યો સાથે ચર્ચા કરાઈ નહોતી. આ ઉપરાંત,  સદર ખરડાઓની કેટલીક જોગવાઈઓએ રાજ્યોના વિષય હોવા છતાં તેના પર તરાપ મરાઈ છે.

નાણાંકીય સત્તાઃ 

કેન્દ્ર સરકારે રાજ્યોની નાણાંકીય સત્તા પર જે રીતે તરાપ મારી છે, તેવું અગાઉ કયારેય જોવા મળ્યું નથી. વેરા મારફતની આવકમાં રાજ્યોના હિસ્સા ઘટાડવા ૧૪માં નાણાં પંચને સૂચના આપવાના પ્રયાસો થયાનું પણ ચર્ચામાં આવ્યું હતું. નેટ ટેકસ રેવેન્યુમાં રાજ્યોના ૪૧ ટકા હિસ્સાને ઘટાડી અંદાજે ૩૧ ટકા કરાયો છે. હિસ્સો ન પાડી શકાય તેવા સેસ તથા સરચાર્જને આડેધડ લાગુ કરાયા છે. રાજ્યોના બોરોઈંગ પર પણ નિયંત્રણ મૂકી દેવાયા છે. જીએસટીના અમલથી રાજ્યોની નાણાંકીય સ્થિતિ કથળી ગઈ છે. ગ્રાન્ટસ તથા રાહતો પૂરી પાડવામાં રાજ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોએ રિતસરની આજીજી કરવી પડે છે. 

એવા દિવસો દૂર નહીં હોય જ્યાં રાજ્યો માત્ર એક વહીવટી પ્રદેશ બનીને રહી જશે અને ભારત મ્યુનિસિપાલટીઓ અથવા તેનાથી પણ નીચા સ્તરના એકમો ધરાવતું સંગઠન બની રહેશે. 


Google NewsGoogle News