એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
એરાઉન્ડ ધ માર્કેટ                                                . 1 - image


ઇક્વિટી ફંડની સંપત્તિમાં વધારાથી વિતરકોને ફાયદો 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૨,૫૦૦ મોટા મ્યુચ્યુઅલ ફંડ વિતરકોએ કમિશન તરીકે રૂ. ૧૪,૮૫૦ કરોડની કમાણી કરી હતી અને મોટા ભાગના મોટા વિતરકોએ તેમની આવકમાં તીવ્ર વધારો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩ માં, એસોસિએશન આફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ અગ્રણી ૧,૭૮૧ વિતરકોની કમિશનની આવક રૂ. ૧૨,૦૭૧ કરોડ હોવાનો અંદાજ મૂક્યો હતો.  નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧,૫૪૪ વિતરકોએ રૂ. ૧૦,૪૨૦ કરોડની કમાણી કરી હતી.  અગ્રણી ફંડ વિતરકોના મતે, કમાણીમાં વધારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારોના વધતા રસને પરિણામે છે. મજબૂત આર્થિક પૃષ્ઠભૂમિએ વધુ રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં આકર્ષ્યા છે અને ઘણા રોકાણકારો ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ મારફત બજારમાં પ્રવેશવાનું પસંદ કરી રહ્યા છે.  તેમણે કહ્યું કે કમિશનમાં વધારો ભારતીય પરિવારોની રોકાણની પ્રાથમિકતામાં ફેરફાર દર્શાવે છે જે ધીરે ધીરે ડેટમાંથી ઇક્વિટી તરફ આગળ વધી રહ્યા છે.  માર્ચ ૨૦૨૪ સુધીમાં, ઇક્વિટી ફાળવણી ૧૧ ટકાથી વધીને ૧૫ ટકા થઈ, જ્યારે દેવું અથવા ડિપોઝિટ ફાળવણી ૩૪.૯ ટકાથી ઘટીને ૩૩.૫ ટકા થઈ હતી. વિતરકોને યોજનાઓમાં તેમના ગ્રાહકોના સંચાલન હેઠળની સંપત્તિઓ પર કમિશન ચૂકવવામાં આવે છે. 

બેંકોનો ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો વધ્યો

તાજેતરના સમયમાં, બેંક લોનની તુલનામાં થાપણોમાં વૃદ્ધિની ધીમી ગતિની સરકાર અને ભારતીય રિઝર્વ બેંકએ (આરબીઆઈ) ચિંતા કરી છે.  જો કે, નિષ્ણાતો માને છે કે આ સમસ્યા કેટલીક બેંકો માટે વિશિષ્ટ હોઈ શકે છે અને સમગ્ર બેંકિંગ ક્ષેત્ર માટે તેને ગંભીર ગણવું યોગ્ય નથી કારણ કે દરેક લોન પોતે જ ડિપોઝિટ બનાવે છે. આરબીઆઈના ડેટા અનુસાર, ૨૬ જુલાઈ સુધી, બેંક લોન વાર્ષિક ધોરણે ૧૩.૭ ટકા વધી હતી, જ્યારે થાપણોમાં ૧૦.૬ ટકાનો વધારો થયો હતો.  તમામ શિડયુલ્ડ કોમર્શિયલ બેંકો  માટે લોન-ડિપોઝીટ રેશિયો ૨૦૧૮-૧૯માં ૭૮.૩ ટકાથી વધીને ૨૦૨૩-૨૪માં ૭૯.૬ ટકા થયો છે.


Google NewsGoogle News