બોટાદનાં રહેણાંકી મકાનમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના કારોબાર પર પોલીસનો દરોડો
- મકાન માલિક સહિત 3 શખ્સ ચલાવતા હતા કારોબાર
- બોટાદ પોલીસે 5 ગ્રાહક સહિત આઠને રૂ. 10.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં આવેલ પકાશેઠની વાડીમાં મુન્નાભાઈ બાવચંદભાઈ જોગરાણા પોતાના રહેણાંકી મકાનના ઉપરના માળે ધાબામાં આવેલ ત્રણ ઓરડીમાં અનિલભાઈ રૂપાભાઈ પરમાર (રહે. ઢાંકણીયા) તથા વિનોદભાઈ રામજીભાઈ તલસાણીયા (રહે. કુંડલી ) ની સાથે મળી ભાગીદારીમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા બોટાદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અને ટીમે બાતમી વાળી જગ્યાએ ખરાઈ કરવા માટે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો ઘર નજીક વોચ ગોઠવી હતી. ડમી ગ્રાહક મારફત ખરાઈ અંગેનો કોલ મળતા જ પોલીસે મુન્નાભાઈ જોગરાણાના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા મકાનના ઉપરના ભાગે આવેલ ત્રણ રૂમમાંથી બે રૂમમાંથી બે પરપ્રાંતીય યુવતીઓ દેહ વ્યાપારના કારોબારમાં સંકળાયેલી મળી આવી હતી.પોલીસે દેહ વ્યાપારનો કારોબાર ચલાવતા મુન્નાભાઈ ભાવસંગભાઈ જોગરાણા (રહે.ઢાકણીયા, તા.જી.બોટાદ), અનિલ રૂપાભાઈ પરમાર રહે.ઢાકણીયા, વિનોદ રામજીભાઈ તલસાણીયા (રહે.કુંડલી) ઉપરાંત ગ્રાહક તરીકે આવેલા મોહમ્મદશરીફ જીવાભાઇ ખોખર (રહે.રાણપુર), વિજય નાથાભાઈ સાકરીયા (રહે. બોટાદ), રાહુલ ધીરુભાઈ સરવૈયા (રહે. બોટાદ), વિશાલ લક્ષ્મણભાઈ મેર (રહે. બોટાદ) અને ભગવતસિંહ લાલુભાઈ પવાર (રહે. બરવાળા) ને ઝડપી લીધા હતા.પોલીસે રૂ. ૧૯,૭૨૦ રોકડા, ૦૭ મોબાઈલ, ૦૫ મોટરસાઇકલ અને એક કાર મળી કુલ રૂ. ૧૦,૫૭,૭૨૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર ( પ્રતિબંધ ) અધિનિયમની કલમ ૩,૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.