Get The App

જીવ ગુમાવ્યો છે છતાં સરકારી રેકર્ડ ઉપર માત્ર 162 મૃતકોની યાદી

- બનાસકાંઠામાં કોરોનામાં કેટલાય લોકોએ

- સરકારી હોસ્પિટલમાં મરણ પામેલ મૃતકોને કોરોના ડેથ સર્ટીની જરૃર નહીં પડે

Updated: Nov 26th, 2021


Google News
Google News
જીવ ગુમાવ્યો છે છતાં સરકારી રેકર્ડ ઉપર માત્ર 162 મૃતકોની યાદી 1 - image

પાલનપુર તા.26

કોરોના મૃતકોને ૫૦ હજારની સહાય આપવાની સરકારની જાહેરાતને લઈ બનાસકાંઠા જિલ્લામાં આ સહાય માટે ફોમ વિતરણ શરૃ કરાયું છે અને રેકર્ડ પર નોંધાયેલા ૧૬૨ કોરોના મૃતકોને પ્રારંભિક ધોરણે સહાય મળવાપાત્ર છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં મરણ પામેલ મૃતકો ખેરખરે કોરોનાની મરણ પામેલ છે કે કેમ અને તેમને આ સહાય મળવા પાત્ર છે કે નહીં તેના ગઠન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે તંત્ર દ્વારા કોરોના મૃતકોમાં આંકડા છુપાવીને માત્ર ૧૬૨ કોરોના મૃતક રેકર્ડ પર દર્શાવવામાં આવ્યા છે . જોકે સરકારે કોરોના મૃતકોનો રૃ.૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ જિલ્લામાં અનેક કોરોના સંક્રમિત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમજ પોતાના ઘરે મરણ પામ્યા હતા. આ કોરોના મૃતકો પાસે કોરોનાથી મોત થયું હોવાં અંગેનું પ્રમાણપત્ર ન હોવાને લઈ અનેક કોરોના મૃતકોના પરીવારજનો આ સહાયને લઈ અસમંજસમાં મુકાયા છે. જોકે ખાનગી હોસ્પિટલમાં તેમજ ઘરે કોરોનાના કારણે જે લોકોના મોત થયા છે તે લોકોને કોરોના મરણોત્તર સહાય મળે માટે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરાઈ છે. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી,સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ કોરોના મૃતકોનું વેરિફિકેશન કરશે જે બાદ મૃતકનું મોત કોરોના થી થયું હશે તેવું સાબિત થશે તો તે મૃતકને કોરોના મરણ પ્રમાણપત્રના આધારે સહાય મળવાપાત્ર થશે.

કોરોનાથી ૮૦૦થી વધુના મોતની આશંકા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા હતા. કોંગ્રેસ દ્વારા અગાઉ કોરોના મૃતકો ને સહાય અપાવવા સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૮૦૦ થી વધુ લોકોના કોરોના મોત થયા હોવાની યાદી તૈયાર કરાઈ હતી. જેની સામે તંત્રના રેકર્ડ પર માત્ર ૧૬૨ કોરોના મૃતકો દર્શાવવામાં આવ્યા છે.

તંત્ર પાસે મૃતકોના સાચા આંકડા નથી

કોરોનાની બીજી લહેર માં સંક્રમિત લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે સરકારે ખાનગી કોવિડ સેન્ટરોને મંજૂરી આપી હતી. જે ખાનગી કોવિડ સેન્ટરો માં અનેક સંક્રમિત દર્દીઓના મોત થતા હતા. તેના આંકડા તંત્ર પાસે છે જ નથી અને સરકારી હોસ્પિટલના મૃતકોની યાદીના આધારે કોરોના સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરાઈ છે.

સહાય માટે ૩૫૦થી વધુ ફોર્મનું વિતરણ

 બનાસકાંઠા જિલ્લામાં કોરોના મૃતકોને ૫૦ હજારની સહાય ચૂકવવા પાલનપુર ડિઝાસ્ટર કચેરીએ ફોર્મનું વિતરણ શરૃ કરાયું છે. જેમાં સરકારી રેકર્ડ પર ૧૬૨ કોરોના મૃતક સામે ૩૫૦થી વધુ ફોર્મનું અત્યાર સુધીમાં વિતરણ થઈ ચૂક્યું છે.

Tags :

Google News
Google News