ભગવાન ગણેશની પીઠના દર્શન શા માટે ન કરવા જોઈએ? તેની પાછળનું આ છે કારણ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર
ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિના દાતા માનવામાં આવે છે જેમના દર્શન માત્રથી જ દરેક કષ્ટ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે. કોઈ પણ શુભ કાર્ય કર્યા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત સાચા દિલથી ભગવાન ગણેશની પૂજા કરે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેમના કાર્યોમાં આવી રહેલા વિઘ્ન દૂર થઈ જાય છે. તેથી ગણપતિને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ પણ કહેવામાં આવે છે.
માન્યતા છે કે ભગવાન ગણેશના અંગોમાં જુદા-જુદા દેવી દેવતાઓનો વાસ છે જેમ કે સૂંઢમાં ધર્મનો વાસ છે તો તેમના કાનોમાં છંદો રહે છે. આ રીતે તેમના પેટમાં સુખ સમૃદ્ધિનો વાસ છે. તેથી ભગવાન ગણેશના દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે. તેમના દર્શનથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. જોકે ભગવાન ગણેશના પીઠના દર્શન અશુભ માનવામાં આવે છે. એવુ એટલા માટે કેમ કે તેમની પીઠ પર દરિદ્રતાનો વાસ માનવામાં આવે છે. કહેવાય છે કે જો ભૂલથી પણ કોઈ તેમની પીઠ જોઈ લે તો તે દરિદ્રતામાં ઘેરાવા લાગે છે.
ભૂલથી પીઠ જોઈ લો તો શું કરવુ જોઈએ
શાસ્ત્રોમાં ગણેશજીના પીઠના દર્શન વર્જિત માનવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં ભૂલથી ભગવાન ગણેશના પીઠના દર્શન થઈ જાય તો દરિદ્રતાથી બચવાના ઉપાય પણ જણાવાયા છે. જો તમે ભૂલથી ભગવાન ગણેશની પીઠ જોઈ લો તો તાત્કાલિક તમારે બાપ્પાની માફી માગવી જોઈએ અને તેમના સામેથી દર્શન કરવા જોઈએ. તેનાથી દરિદ્રતાનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે.
ભગવાન ગણેશના અંગોમાં કયા દેવી-દેવતાનો વાસ છે
ગણેશજીના શરીરના અંગોમાં બ્રહ્માંડ અને જીવન સાથે જોડાયેલી વસ્તુઓનો વાસ માનવામાં આવે છે. જેમ કે સૂંઢમાં ધર્મ, કાનોમાં છંદ, જમણા હાથમાં વર, ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભીમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગમાં સાત લોક મસ્તક પર બ્રહ્મલોકનો વાસ માનવામાં આવે છે.