ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે ભગવાન રામ, જાણો શા માટે તેમને કહેવામાં આવે છે સૂર્યવંશી

ભગવાન રામ સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા છે, જેની ખુબ ઓછા લોકોને ખબર હશે

જાણીએ કે ભગવાન રામને વિષ્ણુનો અવતાર કેમ કહેવામાં આવે છે અને સૂર્યવંશ સાથે તેમનો શું સંબંધ છે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે ભગવાન રામ, જાણો શા માટે તેમને કહેવામાં આવે છે સૂર્યવંશી 1 - image


Bhagvan Shree Ram: દરેકના આરાધ્ય ભગવાન શ્રી રામ માત્ર સનાતન ધર્મની ઓળખ નથી પણ ભારતીય સંસ્કૃતિની પણ ઓળખ છે. ભગવાન રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના સૌથી મોટા પુત્ર હતા. તેમનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. હિન્દુ ધર્મમાં, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર હતા. તેઓને સૂર્યવંશી પણ કહેવામાં આવે છે. તો આજે જાણીએ કે ભગવાન શ્રી રામને વિષ્ણુનો અવતાર કેમ કહેવામાં આવે છે અને સૂર્યવંશ સાથે તેમનો શું સંબંધ છે?

સૂર્યવંશી કેમ કહેવામાં આવે છે?

સૂર્યના પુત્ર રાજા ઇક્ષવાકે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી હતી અને ભગવાન રામનો જન્મ પણ આ જ વંશમાં થયો હતો. આથી ભગવાન રામને સૂર્યવંશી પણ કહેવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે. ભગવાન વિષ્ણુના એક હજાર નામોની યાદીમાં પણ રામ નામનો ઉલ્લેખ છે. ભગવાન રામનું નામ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રાખવામાં આવ્યું હતું. ગુરુ વશિષ્ઠ અનુસાર, અગ્નિ બીજ અને અમૃત બીજ એમ રામ શબ્દ બે બીજકણથી બનેલો છે. જે મન, શરીર અને આત્માને શક્તિ આપે છે. ભગવાન રામનો ત્રણ વખત જાપ કરવો એ હજારો દેવતાઓને યાદ કરવા સમાન છે.

ભગવાન વિષ્ણુએ રામ અવતાર કેમ લીધો?

એક પૌરાણિક કથા અનુસાર, એક વખત સનકાદિક મુનિ ભગવાન વિષ્ણુના દર્શનાર્થે વૈકુંઠ ગયા હતા. તે સમયે જય અને વિજય નામના બે દ્વારપાલ રક્ષા કરી રહ્યા હતા. જયારે સનકાદિક મુનિ અંદર જવા લાગ્યા ત્યારે બંને દ્વારપાલ તેમના પર હસીને તેમને રોક્યા. આથી સનકાદિક મુનિ ક્રોધે ભરાયા અને બંનેને ત્રણ જન્મ માટે રાક્ષસ કુળમાં જન્મ મળે તેવો શ્રાપ આપ્યો. આ સંભાળીને બંનેએ ઋષિ પાસે ક્ષમા માંગી પરંતુ ઋષિએ જવાબ આપ્યો કે ત્રણ જન્મ પછી ભગવાન વિષ્ણુ જ તમારો અંત કરશે. ત્યારબાદ જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે.

જેથી શ્રાપ અનુસાર પ્રથમ જન્મ જય અને વિજયને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે મળ્યો, જેનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને બંનેનો અંત કર્યો હતો. બીજો જન્મ તેમને રાવણ અને કુંભકર્ણ તરીકે મળ્યો જેના વધ માટે ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લીધો અને ત્રીજો જન્મ જય અને વિજયને શિશુપાલ અને દંતવક્ર તરીકે મળ્યો જેનો વધ ભગવાને શ્રી કૃષ્ણ અવતારમાં કર્યો. 

ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે ભગવાન રામ, જાણો શા માટે તેમને કહેવામાં આવે છે સૂર્યવંશી 2 - image



Google NewsGoogle News