દરેક આશીર્વાદ ફળે કે દરેક શ્રાપ લાગે એવું કળિયુગમાં કેમ નથી બનતું? આવો સમજીએ
Blessings and curses: આશીર્વાદ અને શ્રાપની વાતો આપણે સાંભળતા હોઈએ છીએ અને તે પણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચારેય યુગની કોઈપણ વાત સાંભળીયે તેમાં ક્યાંક આ વાત સાંભળવા મળી જાય છે.
આશીર્વાદ મળવા અને શ્રાપ લાગવો એ વાત સમજવી ઘણી જરૂરી છે, પણ આજના વર્તમાન સમયમા સંભવિત છે કે દરેક આશીર્વાદ ફળે કે દરેક શ્રાપ લાગી જાય તે કહેવું અઘરું છે.
અંતઃકરણથી કોઈ શુભેચ્છા આપે તે આશીર્વાદ બને છે
અંતઃકરણથી કહેલી વાત કે આપેલ આશીર્વાદ ફળવાની સંભાવના વધુ છે, જેમાં કોઈએ ક્યારેક જાણતાં,અજાણતાં કોઈનું ભલું કર્યું હોય અને તેના દ્વારા તે વ્યક્તિના આત્માને ખુશ કર્યો હોય, સેવા, મદદ થકી કંઈપણ ભલું કર્યું હોય ત્યારે તે વ્યક્તિ પોતાના આત્માથી તમને જે શુભેચ્છા આપે તે આશીર્વાદ બની જતા હોય છે, અને તમારા જીવન માટે આ ઉપયોગી બનતા હોય છે, આપણે ત્યાં ધાર્મિક વાતો જે ગ્રંથો અને પુરાણો દ્વારા જાણવા મળે છે, કે કોઈએ ખૂબ તપ કર્યું હોય અને તેના દ્વારા કોઈ દેવ કે દેવીને પ્રસન્ન કર્યા હોય અને આશીર્વાદ મેળવ્યા હોય, તપ કરનાર દેવ, દાનવ, માનવ કોઈપણ હોય પણ તે આશીર્વાદ કે વરદાન મેળવતો હોય છે. વર્તમાનમાં પણ મનુષ્ય વડીલના આદર વડે, કોઈ જરૂરિયાત વ્યક્તિને મદદ કરીને કે કોઈ સંતની સેવા કરીને આશીર્વાદ મેળવી જીવનને ધન્ય કરતા જોવા મળે છે.
જ્યારે આંતરડી કકડી ઉઠે છે, ત્યારે એ વ્યક્તિ માટે નકારાત્મક બને છે
શ્રાપની વાત સમજવાની કોશિશ કરીએ તો તે પણ ધર્મ ગ્રંથ, પુરાણમાં જોવા મળતી હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં કોઈને પીડા કે કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડે છે ત્યારે તે વ્યક્તિનો આત્મા ઘણો પીડિત થાય છે, અને તેની આંતરડી કકડી ઉઠે છે ત્યારે તે વ્યક્તિ જે નકારાત્મક શબ્દો ઉચ્ચારે છે, ત્યારે તે શ્રાપરૂપી પીડા આપનાર વ્યક્તિ માટે નકારાત્મક બનતું હોય છે.
મહાભારત- રામાયણમાંથી જાણવા મળે છે
આવી વાત આપણને રામાયણમાંથી જાણવા મળે છે કે એકવાર દશરથ રાજા શિકાર કરવા જાય છે ત્યારે અજાણતાં એક અંધ ઋષિ દંપતિના પુત્રને શિકાર સમજીને બાણ મારી દે છે અને તે ઋષિએ આ વાત જાણી ત્યારે તેનો આત્મા કકડી ઉઠે છે અને દશરથ રાજાને શ્રાપ આપી દે છે, બીજી કેટલીક વાત આપણને મહાભારતમાંથી પણ જાણવા મળે છે. જેમાંની એક જોઈએ તો કર્ણ શસ્ત્ર વિદ્યા શીખવા જાણી જોઈને ખોટું બોલે છે કે તે બ્રાહ્મણ છે અને તે પરશુરામ પાસે વિદ્યા શીખે છે અને જ્યારે આ વાતની પરશુરામને ખબર પડે છે ત્યારે તે ગુસ્સે થાય છે અને કર્ણને શ્રાપ આપે છે.
જ્યારે દ્રૌપદી સભામાં ધૂતરાષ્ટ્રને શ્રાપ આપે છે...
આજ રીતે દ્રૌપદી સભામાં ધૂતરાષ્ટ્રને શ્રાપ આપે છે અને ગાંધારી મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણને શ્રાપ આપે છે, સમજીએ તો જ્યારે આત્મા ખૂબ પીડિત થાય છે પોતાને કોઈ તીવ્ર વેદના તકલીફ થાય અને નકારાત્મક શબ્દો નીકળે તે શ્રાપ બનતા હોય છે તેવું આપણને વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે.
ભગવાન અને કર્મ પર ભરોસો રાખવો જરૂરી
આજના વર્તમાન સમયમાં દરેક વખતે આ બને તેવું સંભવિત પણ ઓછું છે, કેમ કે માણસના કર્તવ્ય પણ ક્યાંક સ્વાર્થવાળા હોય છે જેથી કોઈને ડરાવવા કે અન્ય બાબત જો આશીર્વાદ કે શ્રાપની વાત કરે તો ફળશે તે જરૂરી નથી બનતું આ સમયે પોતાના ભગવાન અને કર્મ પર ભરોસો રાખવો જરૂરી છે. જરૂરિયાતને યથાશક્તિ મદદ કરવી અને પશુ પંખી પર દયા રાખવી તેમજ બિન જરૂરી ઉશ્કેરાટ ના રાખીયે એજ જીવન માટે મોટી સરળતા અને શાંતિ છે.