Durga Puja 2023: ક્યારથી શરૂ થશે દુર્ગા પૂજા? જાણો તારીખ અને પાંચ દિવસના આ પર્વનું મહત્વ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર
સર્વ પિતૃ અમાસ બાદ 9 દિવસની શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબર 2023 એ થશે. સમગ્ર દેશમાં શારદીય નવરાત્રિની ધૂમ રહે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં નવરાત્રિની રોનક કંઈક અલગ જ હોય છે. આ બંગાળીઓનો મહત્વપૂર્ણ તહેવાર છે. બંગાળી સમુદાયમાં નવરાત્રિમાં દુર્ગા પૂજાના નામથી ઓળખવામાં આવે છે. દુર્ગા પૂજાનો ઉત્સવ 5 દિવસ સુધી પરંપરાગત રીતે મનાવવામાં આવે છે.
દુર્ગા પૂજા 2023 તારીખ
આ વર્ષે દુર્ગા પૂજા 20 ઓક્ટોબર 2023થી શરૂ થશે. દુર્ગા પૂજાની શરૂઆત આસો મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે કે શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસથી થાય છે. તેનું સમાપન વિજયાદશમીએ થશે. દુર્ગા પૂજાનો પહેલો દિવસ કલ્પારમ્ભ કહેવાય છે.
દુર્ગા પૂજા શરૂ- 20 ઓક્ટોબર 2023, ષષ્ઠી તિથિ
દુર્ગા પૂજા સમાપન- 24 ઓક્ટોબર 2023, વિજયાદશમી, સિંદૂર ખેલા
દુર્ગા પૂજા મહત્વ
શારદીય નવરાત્રિની પ્રતિપદા તિથિથી પાંચમ સુધી બંગાળી દુર્ગા પૂજાની તૈયારીઓ કરે છે, માતાની મૂર્તિને સજાવવામાં આવે છે પછી છઠ્ઠા દિવસથી શક્તિની ઉપાસના થાય છે. બંગાળીઓમાં માતા દુર્ગાના મહિષાસુર મર્દિની સ્વરૂપને પૂજવામાં આવે છે. પંડાલોમાં દેવીની આ પ્રતિમાની સાથે માતા સરસ્વતી, માતા લક્ષ્મી, પુત્ર ગણેશ અને કાર્તિકેયની મૂર્તિ પણ હોય છે. કહેવાય છેકે ત્રણેય માતા પોતાના બાળકોને લઈને પિયર આવે છે તેથી 5 દિવસ સુધી પુત્રીના સ્વાગતમાં ધામધૂમથી આ તહેવાર મનાવવામાં આવે છે.
દશેરા પર સિંદૂર ખેલાનું વિશેષ મહત્વ
શારદીય નવરાત્રિના અંતિમ દિવસે બંગાળી સમુદાયની સ્ત્રીઓ, વિવાહિત મહિલાઓ સિંદૂર ખેલાનો રિવાજ નિભાવે છે. આ વર્ષે સિંદૂર ખેલા 24 ઓક્ટોબર 2023એ છે. બંગાળી માન્યતા છે કે માતને વિદાય આપ્યા પહેલા દેવીને સિંદૂર અર્પણ કરવાથી અને મહિલાઓને સિંદૂર લગાવવાથી સૌભાગ્યવતી થવાનું વરદાન મળે છે.