જ્યારે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે હથિયાર તરીકે કરવામાં આવ્યો... જાણો ગણેશ પર્વની શરૂઆતનો રોચક ઈતિહાસ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
જ્યારે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે હથિયાર તરીકે કરવામાં આવ્યો... જાણો ગણેશ પર્વની શરૂઆતનો રોચક ઈતિહાસ 1 - image


                                                          Image Source: Wikipedia

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

ગણેશોત્સવ ભારતના ઘણા રાજ્યો સહિત દુનિયાના ઘણા દેશોમાં પણ મનાવવામાં આવે છે. આમ તો આની શરૂઆત મહારાષ્ટ્રના પૂણે શહેરથી થઈ હતી અને એક ખાસ હેતુ માટે કરવામાં આવી હતી નહીંતર આ પહેલા ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ માત્ર ઘરોમાં જ બિરાજમાન કરવામાં આવતી હતી પરંતુ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને આઝાદીની લડતના જનક લોકમાન્ય બાળ ગંગાધર તિલકે આને અંગ્રેજો વિરુદ્ધ લોકોને એકઠા કરવા માટે એક હથિયારની જેમ ઉપયોગ કર્યો પરિણામે અંગ્રેજ ગણેશ ઉત્સવથી ગભરાવવા લાગ્યા હતા. 

'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ' નો નારો આપનાર રાષ્ટ્રવાદી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1893માં પૂણેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. જોકે, બ્રિટિશ કાળમાં લોકો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કે ઉત્સવને સાથે મળીને કે એક સ્થળે એકત્ર થઈને મનાવી શકતા નહોતા. લોકો ઘરોમાં જ ગણપતિની પૂજા કરતા હતા ત્યારે લોકમાન્ય બાળ ગંગાધર તિલકે પૂણેમાં પહેલી વખત સાર્વજનિક રીતે ગણેશોત્સવ મનાવ્યો. આગળ જઈને આ સાર્વજનિક ગણેશ ઉત્સવ એક આંદોલન બની ગયુ અને તેણે સ્વતંત્રતા આંદોલનમાં લોકોને એકઠા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી. 

ગણેશોત્સવને સાર્વજનિક મહોત્સવનું રૂપ આપતી વખતે તેનો આઝાદીની લડત માટે હથિયાર બનાવીને ઉપયોગ કરવામાં આવ્યો અને સાથે-સાથે આને અસ્પૃશ્યતા દૂર કરવા અને સમાજને સંગઠિત કરવા તેમજ લોકોને જાગૃત કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો.

વિરાટ સ્વરૂપે અંગ્રેજોને ડરાવી દીધા હતા

વીર સાવરકર સહિત ઘણા અન્ય ક્રાંતિકારીઓએ ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે કર્યો. ટૂંક સમયમાં જ સમગ્ર મહારાષ્ટ્રમાં સાર્વજનિક સ્થળો પર ગણેશ સ્થાપના થવા લાગી અને તેમાં વીર સાવરકર, લોકમાન્ય તિલક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બેરિસ્ટર જયકર, રેંગલર પરાંજપે, પંડિત મદન મોહન માલવીય, મૌલિકચંદ્ર શર્મા, બેરિસ્ટર ચક્રવર્તી, દાદાસાહેબ ખાપર્ડે અને સરોજિની નાયડુ વગેરે લોકો ભાષણ આપતા હતા. આ રીતે ગણેશોત્સવ સ્વાધીનતાની લડતનું એક મંચ બની ગયુ હતુ. પરિસ્થિતિ એ થઈ ગઈ કે અંગ્રેજ પણ ગણેશોત્સવના વધતા સ્વરૂપથી ગભરાવવા લાગ્યા હતા. આ વિશે રોલેટ સમિતિ રિપોર્ટમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 

હવે પૂણેથી શરૂ થયેલો ગણેશ પર્વ સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે અને 10 દિવસના ગણેશ સ્થાપના પર્વને વિભિન્ન દેશોમાં પણ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર 2023થી પ્રારંભ થશે અને 28 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે.


Google NewsGoogle News