Shravan Special: ગોદાવરી નદીના કાંઠે આવેલું છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, દર્શન કરવાથી તમામ પાપોમાંથી મળે છે મુક્તિ
નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું છે શ્રી ત્ર્યમ્બકેશ્વર
આ આઠમું જ્યોતિર્લીંગ ત્રિદેવ એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ છે
નરબલિ-નારાયણબલિ તથા કાળસર્પયોગની પૂજા વિધિ માટે વર્ષોથી આ સ્થળ પ્રખ્યાત છે. આ એક એવું સ્થળ છે જે પીત્રોઓના શ્રાદ્ધ માટે આદર્શ માનવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો આત્માઓને પણ આ સ્થળે શાંતિ પ્રાપ્ત થાય છે. અને શાંતિ પ્રદાન કરવાની ક્ષમતા એક જ દેવમાં રહેલી છે દેવાધિ દેવ મહાદેવમાં. પરમ ભક્તોના મનની શુદ્ધિ માટે અને આત્માની મુક્તિ માટે જાણીતું આ સ્થળ એટલે નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું શ્રી ત્રયમ્બકેશ્વર. આ મંદિરની પાસે ત્રણ પર્વતો પણ છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરી અને ગંગાદ્વાર કહેવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ શિવલિંગ પોતે જ આ સ્થાન પર પ્રગટ થયું હતું. 12 જ્યોતિર્લીંગમાંનું આ આઠમું જ્યોતિર્લીંગ ત્રિદેવ એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ છે.
ઋષિઓની જીદ્દને કારણે ભગવાન ગણેશે તેમની આજ્ઞા માની
શિવપુરાણની કોટિરુદ્ર સંહિતા અંતર્ગત આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે જેની કથા કંઇક આ રીતે છે, પ્રાચીન કાળમાં આ સ્થળ પર અનેકો વર્ષો સુધી વરસાદ થયો ન હતો. જેના લીધે અહીં ભયંકર દુકાળ પડ્યો, અને અહીંના રહેવાસી બીજા સ્થળ પર સ્થળાંતર કરવા લાગ્યા. ત્યારે ગૌતમ ઋષિએ કઠોર તપસ્યા કરીને વરુણદેવને પ્રસન્ન કર્યા. ઋષિની તપસ્યાને જોતા વરુણ દેવે ઋષિને એક ખાડો ખોદવાનું કહ્યું અને પોતાના દિવ્ય જળથી તેને ભરી દીધો. આ જળથી આ સ્થળ ફરીથી લીલુછમ્મ થઇ ગયું. પલાયન કરવાવાળા દરેક રહેવાસી આ સ્થળ પર પાછા આવી ગયા. એક દિવસની વાત છે જયારે ઋષિના કેટલાક શિષ્ય તે તળાવમાં પાણી ભરવા માટે ગયા ત્યારે કેટલીક ઋષિ પત્નીઓ પણ ત્યાં પહોંચી અને પહેલા પાણી ભરવાની જીદ્દ કરવા લાગી.
એવામાં ઋષિ ગૌતમની પત્ની અહલ્યા ત્યાં આવે અને તેણે ઋષિ પત્નીઓને આગ્રહ કર્યો કે, શિષ્યોને પહેલા પાણી ભરવા દે કારણ કે તેઓ પાણી ભરવા પહેલા આવ્યા હતા. તેના પર દરેક ઋષિ પત્નીઓને થયું કે માતા અહલ્યા પોતાના શિષ્યોનો પક્ષ લઇ રહ્યા છે, કારણ કે આ દિવ્ય જળની વ્યવસ્થા તેમના પતિ ઋષિ ગૌતમે કરાવી છે. ઋષિ પત્નીઓએ પોતાના પતિઓને આ આખી ઘટના અતિશયોક્તિ સાથે જણાવી અને તે દરેક ઋષિઓએ ભગવાન ગણેશની કઠોર તપસ્યા કરીને ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેના પર ભગવાન ગણેશે તે દરેકને સમજાવતા કહ્યું કે, આવા પરમ આત્મા સાથે વેર રાખવું યોગ્ય નથી. તેનું પરિણામ અત્યંત ખરાબ હોઈ શકે છે. પરંતુ ઋષિઓની જીદ્દને કારણે ભગવાન ગણેશે તેમની આજ્ઞા માની લીધી.
કેવી રીતે ત્રંબકેશ્વર નામે પ્રખ્યાત થયું
તેના થોડા દિવસો પછી ભગવાન ગણેશ એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ગૌતમ ઋષિના ખેતરમાં આવ્યા. ગૌતમ ઋષિ તે ગાયને જોઈને તેની પાસે જઈને તેને પોતાના હાથથી ચારો ખવડાવવા લાગ્યા. પણ તેમના દ્વારા ખવડાવવામાં આવેલા ચારાના સ્પર્શ માત્રથી જ તે ગાય મૂર્છિત થઈને જમીન પર પડી ગઈ, અને તેનું મૃત્યુ થઈ ગયું. બીજા ઋષિઓ તે સમયે તે સ્થળ પર સંતાયેલા હતા, અને ગાયના મૂર્છિત થવા પર તે બહાર આવી ગયા અને તેના માટે ગૌતમ ઋષિને જવાબદાર ગણાવવા લાગ્યા, અને તેમના પર ગૌ હત્યાનું પાપ નાખવા લાગ્યા. તે બધા ઋષિઓએ ગૌતમ ઋષિને અપમાનિત કરીને તેમને ગામ છોડીને જતા રહેવા કહ્યું. અને ગૌતમ ઋષિ તે સ્થળ છોડીને ત્યાંથી દૂર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા.
પરંતુ આ ઋષિઓએ ત્યાં પણ તેમનો પીછો નહિ છોડ્યો અને ગૌતમ ઋષિને કહેવા લાગ્યા કે, તમે ગૌ હત્યાનું પાપ કર્યું છે. અને આ પાપથી મુક્ત થવા માટે તમારે ત્રણ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આ સ્થળ પર આવીને એક મહિના સુધી વ્રત કરવું પડશે, તેની સાથે જ તમારે બ્રહ્મગિરિ પર્વતની 101 વાર પ્રદિક્ષણા પણ કરવી પડશે, ત્યારે જ તમારી શુદ્ધિ થઈ શકશે. અથવા તો તમે આ જગ્યા પર માતા ગંગાને લાવીને તેમાં સ્નાન કરો અને મહાદેવના પુરા 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના કરો, પછી બ્રહ્મગિરિ પર્વતની 11 વાર પ્રદક્ષિણા કરી 100 ઘડાના જળથી તે દરેક પાર્થિવ શિવલિંગનો અભિષેક કરો, ત્યારે જઈને જ તમને આ પાપમાંથી મુક્તિ મળી શકે છે. તે ઋષિઓના કહેવા પ્રમાણે ગૌતમ ઋષિએ મહાદેવના પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના શરૂ કરી.
આ તપમાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યાએ પણ તેમનો સંપૂર્ણ સાથ આપ્યો. ગૌતમ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાના દિવ્ય દર્શન આપ્યા અને તેમને વરદાન માંગવા કહ્યું. તેના પર ગૌતમ ઋષિએ તેમની પાસે ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવ બોલ્યા કે, તમે તો કોઈ પાપ કર્યું જ નથી. એ તો પેલા ઋષિઓએ વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું. તમે હંમેશાથી નિષ્પાપ છો. ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા કે, જો તે ઋષિઓએ આવું ન કર્યું હોત, તો મને તમારા દર્શન પણ ના થાત. એટલા માટે હે મહાદેવ જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન છો, તો અહીં માં ગંગાને પ્રકટ કરો.
ગૌતમ ઋષિના આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રકટ થવાનું નિવેદન કર્યું. તેના પર માં ગંગાએ કહ્યું કે, હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જયારે મહાદેવ પોતે પોતાના પરિવાર અને તમામ દેવતાઓ સાથે અહીં વાસ કરશે. મહાદેવે તથાસ્તુ કહ્યું અને દરેક દેવોને કહ્યું કે, દર વર્ષે જયારે બૃહસ્પતિ દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો આ સ્થળ પર દરેક દેવતાઓનો વાસ હશે. પછી મા ગંગા તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરીના નામથી ઓળખાવા લાગ્યા, અને મહાદેવ આ લિંગ સ્વરૂપ સંસારમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા.
ત્ર્યંબકેશ્વરના દર્શન કરવાથી તમામ પાપોમાંથી મુક્ત થાય છે
તો આ હતી કથા શ્રી ત્ર્યંબકેશ્વર જયોતિર્લિંગની. ત્ર્યંબકેશ્વર જયોતિર્લિંગની એક વિશેષતા છે. આ જ્યોતિર્લિંગમાં શિવલિંગ પર અથા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારનાં ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનાં લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર છે, જેમાંથી મુખ્યત્વે શિવના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઇને જયોતિર્લિંગ પર અભિષેક કરી શકતા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનાર શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.
આ સાથે શ્રદ્ધાળુઓના મુખે શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અંગે ચમત્કારોની પણ ઘણી વાતો સાંભળવા મળે છે. કેટલાક શ્રદ્ધાળુઓના મતે કેટલીકવાર ત્યાં સિંહની ગર્જના સંભળાય છે, કેટલીક વાર આગની જ્વાળાઓ પણ નીકળે છે. આવા સમયે શિવજીના ગુસ્સાથી બચવા માટે ભાંગ સાથે દૂધને ભેળવીને તેને લિંગ પર નાખીને રુદ્રાભિષેક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જ્યારે બધું દૂધ ખાડામાં શોષાઈ જાય ત્યારે શિવજી શાંત થયા તેમ માનવામાં આવે છે. શ્રી ત્ર્યંબકેશ્વરના દર્શન કરવાથી તમામ પાપોમાંથી મુક્ત થવાય છે એટલે તેને પાપનાશક જ્યોતિર્લીંગ પણ કહેવાય છે.