આજે સર્વ પિતૃ અમાસ, પિતૃ દોષથી મુક્તિ મેળવવા કરો આ કામ, જાણો ખાસ ઉપાય
Image Source: Twitter
અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2023 શનિવાર
આજે 14 ઓક્ટોબરનો દિવસ સર્વ પિતૃ અમાસ છે. ધાર્મિક માન્યતાઓમાં સર્વ પિતૃ અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. શનિવારનો દિવસ હોવાથી આને શનિ અમાસ કે શનિશ્ચરી અમાસ પણ કહેવાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે જ પિતૃ પક્ષનું સમાપન થાય છે. જો કોઈને પોતાના પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેઓ સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. આજે આ ખાસ અમાસ પર અમુક ઉપાયોને કરવાથી પિતૃ દોષ દૂર કરવા સાથે જીવનમાં ધન-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
સર્વ પિતૃ અમાસનો ખાસ ઉપાય
સર્વ પિતૃ અમાસ ક્યારે છે?
વર્ષ 2023માં પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ હતી. અમાસ તિથિ 13 ઓક્ટોબર 2023ના દિવસ રાત્રે 9.50 મિનિટથી શરૂ થઈ હતી, જે 14 ઓક્ટોબર 2023ની રાત્રે 11.24 મિનિટ સુધી રહેવાની છે. ઉદય તિથિ અનુસાર, 14 ઓક્ટોબર 2023ને સર્વ પિતૃ અમાસ માન્ય છે. 14 ઓક્ટોબર એટલે કે આજે જ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પણ લાગવાનું છે.
સર્વ પિતૃ અમાસ ઉપાય
અમાસના દિવસે ઘરના ઈશાનકોણમાં ઘી નો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે આ દીવો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પ્રગટેલો રહે. અમાસના દિવસે ઘી ના દીવામાં કેસર અને લવિંગના 2 દાણા નાખીને પ્રગટાવવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને આર્થિક તંગી દૂર કરવામાં મદદ મળે છે. આ દિવસે પશુઓને ભૂલથી પણ હેરાન ન કરવા જોઈએ. અમાસના દિવસે ઘરની સુખ શાંતિને જાળવી રાખવા માટે ગાયની સેવા કરો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરો. સાંજના સમયે તલના તેલનો દીવો પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવો અને પરિક્રમા પણ કરો. પોતાની આર્થિક સ્થિતિઓને મજબૂત બનાવવા માટે આ દિવસે 108 વખત તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરો. સાથે જ પોતાના ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે પાણીમાં મીઠુ મિલાવીને પોતુ મારો કે સાફ-સફાઈ કરો.
કરો આ કાર્ય
પિતૃઓને ખુશ કરવા અને પિતૃ દોષથી રાહત મેળવવા માટે અમાસનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવસે દાન-પુણ્ય અને શ્રાદ્ધ કર્મ કરીને પિતૃઓને ખુશ કરવામાં આવે છે. તેથી કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર, ફળ વગેરેનું દાન કરો. સૂર્યાસ્ત થયા બાદ દક્ષિણ દિશામાં સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવો. આ દિવસે પિતૃ સ્ત્રોત અને પિતૃ કવચનો પાઠ કરવાનું પણ ખૂબ શુભકારી માનવામાં આવે છે.