આજે રાધા અષ્ટમી, જાણી લો પૂજા-વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર
ભગવાન શ્રીકૃષ્ણનું નામ હંમેશા રાધાજીની સાથે લેવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ બાદ રાધા અષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવાની અષ્ટમીના દિવસે રાધા અષ્ટમી મનાવવામાં આવે છે. આ વર્ષે રાધા અષ્ટમી 23 સપ્ટેમ્બર શનિવારે મનાવવામાં આવશે. માન્યતા છે કે રાધા રાની વિના ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અધૂરી હોય છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણના નામની સાથે રાધા રાનીનું નામ સાથે લેવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની જેમ જ રાધા અષ્ટમી પણ ધામધૂમથી મનાવવામાં આવે છે.
રાધા અષ્ટમી શુભ મુહૂર્ત
અષ્ટમી તિથિ શરૂઆત- 22 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 1:35 વાગે
અષ્ટમી તિથિ સમાપન- 23 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12:17 વાગે
શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત-04:35 થી 05:22
અભિજિત મુહૂર્ત - 11:49થી 12:38
વિજય મુહૂર્ત- 02:15થી 03:03
ગોધૂલિ મુહૂર્ત - 06:17થી 06:41
અમૃત કાળ- 08:42થી 10:16
નિશિતા મુહૂર્ત- 11:50થી 12.35
24 સપ્ટેમ્બર
રવિ યોગ - 02:56 થી 06:10
માનવામાં આવે છે કે રાધા અષ્ટમી પર 108 વખત ॐ ह्नीं श्री राधिकायै नमः મંત્રનો જાપ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
રાધા અષ્ટમીનું મહત્વ
જન્માષ્ટમીની જેમ જ રાધા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ સંતાન સુખ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. પૌરાણિક કથાઓ અનુસાર જે લોકો રાધાજીને પ્રસન્ન કરી દે છે તેમનાથી ભગવાન શ્રીકૃષ્ણ આપમેળે પ્રસન્ન થઈ જાય છે. આ વ્રત કરવાથી ઘરમાં માતા લક્ષ્મી આવે છે અને મનોકામનાઓ પૂરી થાય છે.
રાધા અષ્ટમી વ્રતની પૂજા વિધિ
સવારે સ્નાન વગેરે ક્રિયા પૂર્ણ કરીને મંડપની નીચે મંડળ બનાવીને તેના મધ્યભાગમાં માટી કે તાંબાના કળશની સ્થાપના કરો. કળશ પર તાંબાનું પાત્ર રાખો. હે આ પાત્ર પર વસ્ત્રાભૂષણથી સુસજ્જિત રાધાજીની મૂર્તિની સ્થાપના કરો. બાદમાં રાધાજીની પૂજા કરો. પૂજાનો સમય બપોરનો હોવો જોઈએ. પૂજા બાદ ઉપવાસ પૂરો કરો અથવા એકટાણુ કરો. બીજા દિવસે શ્રદ્ધાનુસાર સોહાગણ સ્ત્રીઓ તથા બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપો.