ઘરે પણ થઈ શકે છે શ્રાદ્ધ, જાણો કોનુ શ્રાદ્ધ ક્યારે કરવુ અને તેની સંપૂર્ણ વિધિ
Image Source: Twitter
અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2023 સોમવાર
શુક્રવારથી તર્પણની ક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અમાસ સુધી એટલે કે 16 દિવસ સુધી ચાલશે. પૂનમે પહેલુ શ્રાદ્ધ થઈ ચૂક્યુ છે. પહેલા દિવસને શુદ્ધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી તર્પણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જે અમાસ સુધી એટલે કે 16 દિવસ સુધી ચાલશે. જે વ્યક્તિ ગયામાં પિંડદાન કરી શકશે નહીં, તે પોતાના પિતૃઓનું ઘરે જ એકોદિષ્ટ શ્રાદ્ધ કરી શકે છે. ઘરમાં સામાન્યરીતે પિંડદાન કરવામાં આવી શકે છે. ગયામાં પાર્વણ શ્રાદ્ધ હોય છે.
આ વિધિથી દરેક પિતૃને એક પિંડ આપવામાં આવે છે. ઘરે એકોદિષ્ટ શ્રાદ્ધ પિતાની તિથિ પર કરવામાં આવે છે જ્યારે અન્ય પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પિતાના પિંડમાં તમામ પિતૃ સહભાગી થઈ જાય છે. પિતૃઓની પૂજા કરવાથી આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, ધાન્યની સમૃદ્ધિ થાય છે, જે મૃત આત્માઓનું શ્રાદ્ધ કરતા નથી. તેમના પિતૃ હંમેશા નારાજ રહે છે. દેવી-દેવતાઓની આરાધનાની સાથે જ સ્વર્ગ મેળવનાર પૂર્વજોનું પણ શ્રાદ્ધ અને ભાવ સાથે પૂજા અને તર્પણ કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓને પ્રસન્ન કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન રહે છે. પિતૃઓ માટે સમર્પિત શ્રાદ્ધપક્ષ ભાદરવી પૂનમથી આસો મહિનાની અમાસ સુધી મનાવવામાં આવે છે. પરમપિતા બ્રહ્માએ આ પક્ષ પિતૃઓ માટે જ બનાવ્યુ છે. જે પ્રાણીઓનું મૃત્યુ બાદ તેમનું વિધિનુસાર શ્રાદ્ધ કરવામાં આવતુ નથી, તેમની આત્માને મુક્તિ મળતી નથી. જે પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી, તેમને પિતૃદોષનો સામનો કરવો પડે છે. પિતૃદોષ થવાથી જાતકોને જીવનમાં ધન અને આરોગ્ય સંબંધિત ઘણા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે છે. પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મૃત્યુલોકથી સ્વર્ગલોકમાં સ્થાન મળે છે.
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે. જોકે દર મહિનાની અમાસ તિથિએ પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે પરંતુ પિતૃપક્ષના 15 કે 16 દિવસોમાં શ્રાદ્ધકર્મ, પિંડદાન અને તર્પણ કરવાનું વધુ મહત્વ માનવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર કોઈને કોઈક રૂપમાં પોતાના પરિજનોની વચચે રહેવા માટે આવે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાની અમુક ખાસ તિથિઓ પણ હોય છે.
શ્રાદ્ધ-વિધિ
શ્રાદ્ધ સંપૂર્ણ વિધિસર કરવા જોઈએ. મત્સ્ય પુરાણ અનુસાર શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી સફેદ વસ્ત્ર ધારણ કરો. દક્ષિણ દિશામાં જળ ચઢાવો. પૂર્વની તરફ મુખ કરીને પિતૃઓનું માનસિક આહ્વાન કરો. હાથમાં તલ લઈને કહો કે આજે હુ આ તિથિએ પોતાના અમુક પિતૃના નિમિત્ત શ્રાદ્ધ કરી રહ્યો છુ. જે બાદ જળ પૃથ્વી પર અર્પણ કરી દો.
કોનું શ્રાદ્ધ ક્યારે કરવુ
- જે લોકોના સગા-સંબંધીઓ અને પરિવારના સભ્યોના મૃત્યુ જે તિથિએ થયા છે, પિતૃપક્ષમાં આવનારી તે તિથિમાં તેમનું શ્રાદ્ધ કરવુ જોઈએ.
- જે મહિલાનું મૃત્યુ પતિ હયાત હોય ત્યારે થયુ હોય તે સ્ત્રીઓનું શ્રાદ્ધ નવમી તિથિમાં કરવામાં આવે છે.
- એવી સ્ત્રીઓ જેમનું મૃત્યુ થઈ ગયુ હોય પરંતુ તેમની તિથિની જાણકારી ન હોય તો તેમનું પણ શ્રાદ્ધ માતૃ નવમીએ જ કરવુ જોઈએ.
- આત્મહત્યા, વિષ, દુર્ઘટના વગેરેથી મૃત્યુ પામનાર મૃત પિતૃઓના શ્રાદ્ધ ચૌદશે કરવામાં આવે છે.
- પિતા માટે અષ્ટમી તો માતા માટે નવમીની તિથિ શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે.
- જો કોઈ કારણવશ પોતાના પરિજનોની મૃત્યુની તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવુ યોગ્ય છે.