જાણો શ્રાદ્ધનું માહાત્મ્યમ્ અને ક્યારે કયું શ્રાદ્ધ કરવું તેની શાસ્ત્રોક્ત માહિતી

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
જાણો શ્રાદ્ધનું માહાત્મ્યમ્ અને ક્યારે કયું શ્રાદ્ધ કરવું તેની શાસ્ત્રોક્ત માહિતી 1 - image

image : Filephoto

વડોદરા,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર 

ગણેશોત્સવનું આજે સમાપન થયું છે. ગુરુવારથી પિતૃકાર્યના પર્વ મહાલય શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટી,વડોદરાની સંસ્કૃત મહા વિદ્યાલયના વેદ અને સંસ્કૃતના વ્યાખ્યાતા અને વૈદિકજ્યોતિષ વિજ્ઞાન નિષ્ણાત, ડૉ. કપિલદેવ હરેકૃષ્ણ શાસ્ત્રી પાસેથી જાણો શ્રાદ્ધનું માહાત્મ્ય આ સૃષ્ટી એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડને 12 રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.

આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે

હવે ખગોળશાસ્ત્રના આધારે 15 જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ. આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે. આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા 15 સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગૃત કરે છે.

હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે. જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ ઉપરાંત દેવયાન તરફ ગતિ કરે છે અર્થાત્ સ્વર્ગલોકમાં સ્થાન પામે છે અને અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે હોય છે. ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે  અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.

શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની 16 કળા છે આ 16 કળા આપણા હિન્દૂ પંચાગની 16 તિથી સાથે જોડાયેલી છે પૂર્ણિમાથી અમાવાસ્યા સુધી 16 તિથી હોય છે તેમ સુદ (શુક્લપક્ષ) અને વદ (કૃષ્ણપક્ષ)ની તમામ તિથી રિપીટ થાય છે. આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં, તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળામાં સ્થાન પામે છે. 

જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની 15 મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે. ચંદ્રનું આધિપત્ય દૂધ  અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ હોય છે. 

આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે અને તે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે  પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.

આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવાસ્યાને  દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરેક પિતૃનું શ્રાદ્ધનો મહિમા વિશેષ છે અને તે દિવસે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે. આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન, દીકરી, જમાઈ અને ભાણેજોને જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે.

આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.

તારીખ-29/09/2023 થી તારીખ- 14/10/2023 સુધી શ્રાદ્ધપક્ષ છે.

એકમનું શ્રાદ્ધ, 29/09/23 શુક્રવારે 

બીજનું શ્રાદ્ધ, 30/09/23 શનિવારે 

ત્રીજનું શ્રાદ્ધ, 01/10/23 રવિવારે 

ચોથનું શ્રાદ્ધ, 02/10/23 સોમવારે

પાંચમનું શ્રાદ્ધ, 03/10/23 મંગળવારે

છઠ્ઠનું શ્રાદ્ધ, 04/10/23 બુધવારે

સાતમનું શ્રાદ્ધ, 05/10/23 ગુરુવારે

આઠમનું શ્રાદ્ધ, 06/10/23 શુક્રવારે

નવમીનું શ્રાદ્ધ અને સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, તારીખ-07/10/23 શનિવારે

દશમનું શ્રાદ્ધ, તારીખ-08/10/23 રવિવારે

એકાદશીનું શ્રાદ્ધ, તારીખ-09/10/23 સોમવારે

મઘા શ્રાદ્ધ, તારીખ-10/10/23 મંગળવારે

બારસનું-સંન્યાસીઓનું શ્રાદ્ધ, તારીખ-11/10/23 બુધવારે

તેરસનું શ્રાદ્ધ, તારીખ-12/10/23 ગુરુવારે

અસ્ત્ર, શસ્ત્ર, ઘાત થી મૃતકનું શ્રાદ્ધ, તારીખ-13/10/23 શુક્રવારે

ચૌદશ,પૂનમ,અમાસનું (સર્વપિતૃ)શ્રાદ્ધ, તારીખ-14/10/23 શનિવારે


Google NewsGoogle News