જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની ઝાંખીની સજાવટમાં રાખો આ બાબતોનું ધ્યાન નહીંતર...

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની ઝાંખીની સજાવટમાં રાખો આ બાબતોનું ધ્યાન નહીંતર... 1 - image


Image: Facebook

Krishna Janmashtami Decoration: જન્માષ્ટમી જેને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. આ પર્વ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ દિવસે ખાસ કરીને ઝાંખી સજાવવાની પરંપરા છે. જે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓનું સ્મરણ કરાવે છે. 

જન્માષ્ટમી પર ઝાંખી સજાવવાની આ પરંપરા આપણને શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી અનેક ઘટનાઓનું સ્મરણ કરાવે છે. આ પર્વ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આપણા જીવનમાં સકારાત્મકતા અને ભક્તિનો સંચાર કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. ઝાંખી સજાવવાનો હેતું અસુરી પ્રવૃત્તિઓનું શમન અને સારી શક્તિઓની શરૂઆત કરવાનો હોય છે. આ એક એવો અવસર હોય છે જ્યારે નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.  

ઝાંખી સજાવવાની તૈયારી

જે ભક્તજન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ઝાંખી સજાવે છે, તેમણે આખો દિવસ ઉપવાસ રાખીને આ પવિત્ર કાર્યની તૈયારી કરવી જોઈએ. આ દિવસે કેળના પાન, આંબા કે આસોપાલવના પાન વગેરેથી ઘરના દ્વારને સજાવવામાં આવે છે, દ્વાર પર મંગળ કળશ સ્થાપિત કરવામાં આવે છે, જેનાથી ઘરમાં શુભતાનું આગમન થઈ શકે. આ તમામ તૈયારીઓ એક ભક્તના મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિને પ્રદર્શિત કરે છે. 

ઝાંખી સજાવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું

ઝાંખી સજાવતી વખતે અમુક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. સૌથી પહેલા ઝાંખીમાં કાંટાળા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જેમ કે કેકટસ અને અન્ય કાંટાળા છોડનો ઉપયોગ ક્યારેય ન કરવો. તેના બદલે આંબા કે આસોપાલવના પાનનો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ પાન શુભતા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે અને તેના ઉપયોગથી ઝાંખીની પવિત્રતા જળવાઈ રહે છે.

ઝાંખી સજાવવામાં તે વૃક્ષોના પાનનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં જેમાંથી દૂધ નીકળે છે, જેમ કે રબર પ્લાન્ટ અને શ્વેતાર્ક વગેરે. એ પણ ધ્યાન રાખવું કે ઝાંખીમાં હાનિકારક, સિન્થેટિક અને જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરવો, કેમ કે આ વસ્તુઓ શુભતાના બદલે અશુભતાનો સંકેત આપે છે.

ઝાંખીની વિશેષ સજાવટ

ઝાંખીમાં મોરના પીંછાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. મોરના પીંછા શ્રીકૃષ્ણના મુગુટનો એક મુખ્ય ભાગ હોય છે અને તેને તેમના જીવનની ઘણી ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. આ સિવાય વાંસળીને સજાવીને ઝાંખીમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ કેમ કે વાંસળી શ્રીકૃષ્ણની ઓળખનું પ્રતીક છે. ઝાંખીમાં ગાય અને વાછરડાંનું ચિત્ર કે મૂર્તિઓનો ઉપયોગ જરૂર કરો, જેનાથી શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ અને તેમની ગોપ ગોપીના પ્રત્યે સ્નેહનું પ્રદર્શન થઈ શકે. 

શ્રીકૃષ્ણના જન્મનું વાતાવરણ દર્શાવવા માટે ઝાંખીમાં તેમના બાળપણ, યુવાવસ્થા અને ગીતા જ્ઞાન સુધીની અવસ્થાઓનું ચિત્રણ કરવું જોઈએ, પરંતુ ધ્યાન રાખો કે ઝાંખીમાં શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપને જ દર્શાવવામાં આવે. મહાભારતના યુદ્ધનું દ્રશ્ય નહીં. આ ઝાંખી 6 દિવસ સુધી રાખવી જોઈએ અને દરરોજ તેની આરતી કરવી જોઈએ. છઠ્ઠા દિવસે લડ્ડુ ગોપાલની છઠ્ઠી મનાવીને જ ઝાંખીનું વિસર્જન કરવું જોઈએ. 

પ્રસાદ અને ભોગની પરંપરા

શ્રીકૃષ્ણના જન્મદિવસે પકવાન, પંચામૃત અને પંજરી બનાવવાની પરંપરા છે. આ પ્રસાદ ભક્તોની વચ્ચે વહેંચવામાં આવે છે. જો શક્ય હોય તો માખણ મિશ્રીનો પણ ભોગ લગાવવો જોઈએ કેમ કે શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી અત્યંત પ્રિય હતાં. 


Google NewsGoogle News