જૂનથી ઓગસ્ટ સુધી કરી શકાશે કૈલાશ માનસરોવર યાત્રા, આ રીતે કરજો અરજી
Image Source: Twitter
Kailash Mansarovar Yatra 2025: વિદેશ મંત્રાલયે શનિવારે 'કૈલાશ માનસરોવર યાત્રા 2025'ની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. આ યાત્રા જૂનથી ઓગસ્ટ 2025 દરમિયાન આયોજિત કરાશે. કૈલાશ માનસરોવર યાત્રા પોતાના ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે. ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે હિન્દુઓ માટે મહત્વપૂર્ણ હોવાથી, તે જૈન અને બૌદ્ધો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે kmy.gov.in વેબસાઇટ પર અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વર્ષ 2015થી ઓનલાઈન અરજીથી લઈને યાત્રાળુઓની પસંદગી સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે.
ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્યના રૂટ પરથી આયોજિત કરવામાં આવશે યાત્રા
આ વર્ષે 5 બેચ (દરેકમાં 50 યાત્રાળુઓ) ઉત્તરાખંડ રાજ્યથી લિપુલેખ રૂટ પરથી પસાર થઈને અને 10 બેચ (દરેકમાં 50 યાત્રાળુઓ) સિક્કિમ રાજ્યથી નાથુ લા રૂટ પરથી પસાર થઈને યાત્રા કરશે. યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવવામાં આવશે. કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રક્રિયા દ્વારા યાત્રાળુઓને ફાળવવામાં આવેલા રૂટ અને બેચમાં સામાન્ય રીતે ફેરફાર નહીં થશે. જો કે, જો જરૂરી હોય તો પસંદ કરાયેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. આ ફેરફાર માત્ર ત્યારે જ કરી શકાશે છે જ્યારે ખાલી જગ્યા ઉપલબ્ધ હશે. આ બાબતમાં મંત્રાલયનો નિર્ણય જ અંતિમ રહેશે.
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે
અગાઉ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે આશ્વાસન આપ્યું હતું કે, 'પહલગામ આતંકવાદી હુમલા છતાં આ વર્ષે 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા સરળતાથી ચાલશે. હુમલા છતાં ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાશ્મીરમાં પર્યટન ટૂંક સમયમાં ફરી શરૂ થઈ જશે. કોઈ પણ કાશ્મીરને તેના વિકાસ પથ પરથી હટાવી નહીં શકે.'