ધનતેરસના દિવસે ધનની નહીં આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરિની પૂજા કરવી જોઈએ
ધનતેરસના દિવસે ધન્વંતરિ ભગવાન પ્રાગટ્ય થયા હતા
Importance of Dhanteras : સંસારનુ પહેલું સુખ એટલે ધન નહીં પરંતુ સ્વાસ્થ્યને માનતા હોય તેઓએ ધનતેરસની સાચી પૂજા ભગવાન ધન્વંતરિની કરવી જોઈએ. હિન્દુધર્મમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાં બારમાં અવતાર તરીકે કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે ધન્વંતરિ ભગવાન પ્રાગટ્ય થયા હતા. તેથી જ આને ત્રયોદશી જયંતિ કહેવાય છે.
તેરસના દિવસે ધન્વંતરિનુ અવતરણ થયું હતું
પૃથ્વીલોકમાં દેવ-દાનવો વચ્ચેના સંગ્રામના સમુદ્રમંથન સમયે નીકળેલા મુખ્ય ચૌદ રત્નોમાં ચૌદમા રત્ન તરીકે પવિત્ર તેરસના દિવસે ધન્વંતરિનુ અવતરણ થયું હતું. આ ચારભુજા ધારી ધન્વંતરિના એક હાથમાં સોનાનો અમૃતકલશ, બીજા હાથમાં સંજીવની પુષ્પ , ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં આયુર્વેદ શાસ્ત્ર જોવા મળે છે. આ કૃષ્ણપક્ષની ત્રયોદશીના દિવસે જ માંતા લક્ષ્મીજીનો પણ જન્મ દિવસ હોવાથી પ્રાચીન સમયમાં લક્ષ્મીદેવીની પણ પૂજા આ દિવસે કરવામાં આવતી હતી. સાંપ્રત સમયમાં સ્વાસ્થ્ય કરતા ધનનું મહત્વ વધતાં ધીમે ધીમે આજનો માનવી ભગવાન ધન્વંતરિને ભુલીને ધનતેરસના દિવસે ધનની પૂજા કરતો થઈ ગયો. આધુનિક તબીબી વિજ્ઞાન પણ ધન્વંતરિને 'physician of the Hindu God's ' તથા 'God of Medicine' તરીકે માને છે.
ભગવાન ધન્વંતરિની પૂજાનું સવિશેષ ફળ
ભગવાન ધન્વંતરિ વૈધોના અધિષ્ઠાતા, આર્યુવેદના પ્રવર્તક અને આરોગ્યના દેવતા,સાચા ધનના રક્ષક હોવાથી ધનતેરસના દિવસે પરિવાર સાથે તેમની શાસ્ત્રોક્ત પૂજા કરવાથી -
• આયુષ્ય,ઓજસ પ્રતિષ્ઠા વધારે.
• તમામ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્તિ કરાવે.
• દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય.
• અમરત્વ , નિરોગી ધર, સ્વાસ્થ્ય,યશ પ્રદાન થાય છે.
• અકાલ મૃત્યુને અટકાવે.
• ભય ,ભુત, પિચાશના ત્રાસમાંથી છૂટકારો મળે છે.
પૂજા કરવાની રીત:
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પૂર્વ કે ઉત્તર દિશામા સપરિવાર ધન્વંતરિની મૂર્તિની સ્થાપના કરી તેને કંકુ, ચોખા, પુષ્પ, ધૂપ અને દિપ કરી ખાસ કરીને પીળી મીઠાઇનુ નૈવેદ્ય અર્પણ કરી ધન્વંતરિ મંત્રનો પાઠ કરવો.
ભગવાન ધન્વંતરિ મંત્ર:
ઓમ્ નમો ભગવતે વાસુદેવાય ધન્વન્ત્રયે
અમૃતકલશ હસ્તાય સાર્વમય વિનાશનાય
ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણવે નમઃ !!
આ ધનતેરસના દિવસે સાચા અર્થની ભગવાન ધન્વંતરિની શાસ્ત્રોક્ત પૂજા કરી તન અને મનની તંદુરસ્તીનું અમુલ્ય ફળ પ્રાપ્ત કરીએ.