ગણેશ ચતુર્થી: ગણેશજીની આ મુદ્રાવાળી મુર્તી ઘરમાં લાવશે સુખ શાંતિ
નવી દિલ્હી,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર
એવું માનવામાં આવે છે કે, જ્યાં ભગવાન ગણેશ રહે છે, ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર બસ થોડા દિવસ દુર છે. ત્યાં ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવશે.
માર્કેટમાં અવનવી ગણેશજીની પ્રતિમાઓ મળી રહી છે. માટીની મૂર્તીનો ક્રેઝ પણ અલગ છે. તએવુ કહેવાય છે કે, ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશની યોગ્ય રીતે પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ મળે છે. ઘણા લોકો પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. પરંતુ ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતા પહેલા તેનું મહત્વ જાણી લેવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર દરેક વસ્તુને રંગ અને સ્વરૂપ સાથે જોડીને જુએ છે. આ પ્રમાણે લાલ રંગની ગણેશ મૂર્તિ તમારા આત્મવિશ્વાસને વધારવા માટે સારી માનવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે સફેદ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.
ગણેશજીનું બેસવું શુભ?
ઘણા લોકો દર વર્ષે પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપન કરતા હોય છે. ઘણા લોકોના મનમાં સવાલ થાય કે, કેવા પ્રકારની મુર્તિ લેવી? જે મૂર્તિમાં ભગવાન ગણેશ આસન પર બેઠા હોય અથવા આરામની મુદ્રામાં સૂતા હોય તેવી મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવી સૌથી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, ઘરની સુખ, શાંતિ અને સ્થિર આવકમાં વધારો થશે.
હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિશામાં દેવી લક્ષ્મી અને મહાદેવનો વાસ છે.
મૂર્તિની દિશા
બાપ્પાની મૂર્તિની સ્થાપના કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે, મુખ ઘરના મુખ્ય દ્વારની દિશામાં હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિના નવા દ્વાર ખુલે છે.