Rudraksha Rules: રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે આ નિયમોનું અવશ્ય પાલન કરવુ નહીંતર મહાદેવ થઈ જશે નારાજ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2023 સોમવાર
હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષનું ખાસ મહત્વ જણાવાયુ છે. માન્યતા છે કે રૂદ્રાક્ષની ઉત્તપત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે. મહાદેવની કૃપા મેળવવા અને જીવનમાં કષ્ટોના નાશ માટે વ્યક્તિ રૂદ્રાક્ષ ધારણ કરે છે. શાસ્ત્રોમાં રૂદ્રાક્ષ ધારણ કરવા અને ધારણ કર્યા બાદ ઘણા નિયમોનું પાલન કરવુ ખૂબ જરૂરી છે. માન્યતા છે કે જેમ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે સોમવારના દિવસે વ્રત, પૂજા, રૂદ્રાભિષેક કરવામાં આવે છે તે જ પ્રકારે રૂદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર જે વ્યક્તિ રૂદ્રાક્ષ ધારણ કરે છે, તેને જીવનમાં અકાળ મૃત્યુનો ડર રહેતો નથી પરંતુ રૂદ્રાક્ષ ધારણ કરવા માટે કેટલાક નિયમોનું પાલન ખૂબ જરૂરી છે. માન્યતા છે કે રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે કરવામાં આવતી થોડી પણ બેદરકારી મહાદેવને નારાજ કરી શકે છે. સાથે જ વ્યક્તિને ભગવાન શિવના ભયંકર ક્રોધનો સામનો કરવો પડે છે.
રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલા નાના-નાના ઉપાય, પૂજા-પાઠ અને ભગવાનનું સ્મરણ ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને તેમની કૃપા વરસાવે છે. ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે. દરમિયાન રૂદ્રાક્ષ ધારણ કરવા માટે સોમવારનો દિવસ જ ઉત્તમ છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે રૂદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા એ તપાસી લો કે તે માળામાં 27 મણકા જરૂર હોવા જોઈએ.
- શાસ્ત્રોમાં જણાવાયુ છે કે રૂદ્રાક્ષને સીધા ખરીદીને પહેરી શકાતા નથી પરંતુ તેને બજારમાંથી લઈને પહેલા માળાને લાલ રંગના વસ્ત્રમાં બાંધી દો અને પછી શિવ મંદિરમાં રાખી દો. જે બાદ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
- જે બાદ હાથમાં થોડુ ગંગાજળ લો અને રૂદ્રાક્ષની માળાને ધોઈ લો. જે બાદ હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ લો અને ફરીથી રૂદ્રાક્ષની માળાને ધારણ કરો. આ નિયમની સાથે માળા ધારણ કરવાથી મહાદેવ પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર રૂદ્રાક્ષ ધારણ કર્યા પહેલા વ્યક્તિએ સ્નાન કરવુ જોઈએ.