રાશિ-ભવિષ્ય-2024 : મકર રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે?

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
રાશિ-ભવિષ્ય-2024 : મકર રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? 1 - image

મકર : Capricorn (ખ. જ.) ૨૨ ડિસેમ્બર - ૧૯ જાન્યુઆરી

ક્રાંતિવૃત્ત ૨૭૦થી ૩૦૦ સુધીમાં મકર રાશિનો સમાવેશ થાય છે. ઉત્તરા, શ્રવણ અને ઘનિતાનો નક્ષત્ર મકર રાશિમાં સમાવેશ થાય છે. રાશિનું ચિન્હ મૃગના મોઢાવાળો મગર છે. પૃથ્વી તત્ત્વની ચર સ્વભાવની આ સ્ત્રી રાશિ છે. મકર રાશિના જાતકોમાં આળસ અને જિદ વિશેષ જોવા મળે છે. જે વાતને પકડે તેને છોડવી નહીં આ એમનો મુખ્ય સ્વભાવ છે. પોતાની તર્કશક્તિથી કાર્યને અમલમાં મૂકી પોતાનો સ્વાર્થ કેવી રીતે પૂરો કરવો તે આ રાશિના લોકો ખૂબ સારી રીતે જાણે છે. મગર ચિહ્ન હોવાથી આ જાતકોમાં આ લક્ષણો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મનમાં શું છે, હૃદયમાં શું ચાલી રહ્યું છે તે કળી ન શકાય. વાતની ભાષાકીય રજૂઆત જુદી હોય. તેથી આ જાતકોને સમજવા ખૂબ અઘરા હોય છે. મગર પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકે છે. માટે આ જાતકો દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખી પોતાનો સ્વાર્થ કઢાવી લેવાની આવડત ધરાવતા હોય છે. આળસુ પ્રકૃતિના આ લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ગમે તેટલી ધીરજ રાખી શકતા હોય છે. મહત્વાકાંક્ષા, ઈચ્છાશક્તિ, દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા આ લોકો આયોજનપૂર્વક પોતાનું કામ કરાવતા જોવા મળે છે. ક્યારેક તેઓ શંકાશીલ બને છે. તેમના સ્વભાવમાં લુચ્ચાઈ પણ ઘણી વખત જોવા મળે છે. 

ભણતર અને ગણતર 

આ રાશિના જાતકો સારા ડિટેક્ટિવ બની શકે છે. રિસર્ચના કામમાં આ જાતકો ખૂબ સારી સફળતા મેળવી શકે છે. ગુનાખોરીના ક્ષેત્રમાં અપરાધીને કેવી રીતે શોધવો તેની વિશેષ આવડત હોવાથી આ જાતકો આવા ફિલ્ડમાં સફળ થાય છે. અભ્યાસમાં વધારે સારી સફળતા મેળવવા માટે એપ્રિલ મહિના સુધી જો પરીક્ષા આપવાની થતી હશે તો આ જાતકોએ વધારે મહેનત કરવી પડશે. આમ થશે તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકશે. મે મહિના પછીનો સમય આ જાતકો માટે અભ્યાસમાં વધારે અનુકૂળતાવાળો દેખાઈ રહ્યો છે. સરકારી પરીક્ષા પાસ કરવા માટે વધારે મહેનત કરવી પડશે

ગાડી ઔર બંગલા

મકાન લેવાની ઈચ્છા રાખનાર જાતકો માટે આ વર્ષે યોગ પ્રમાણમાં ઓછા સારા બને છે. નવું ઘર, નવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા કે નવું વાહન ખરીદવા માગતી વ્યક્તિઓ માટે ૨૦૨૪માં સારી ગ્રહદશા બનતી નથી. અલબત્ત, જૂની પ્રોપર્ટી કે જૂનું વાહન લેવાનો પ્રયત્ન કરશે તો તેમાં સફળતા મેળવી શકશે. અલબત્ત, સેકન્ડહેન્ડ મકાન અને વાહન માટે પણ મહેનત વધારે કરવી પડશે. જે કરો તે સમજીવિચારીને કરજો. 

શાદી અને સંતતિ

આ રાશિના જાતકોને ૨૦૨૪ લગ્ન કરવા માટેનું સારું વર્ષ છે. આ રાશિના જાતકોએ હંમેશા લગ્ન ફળે છે. અલબત્ત, ગ્રહ બળ સારું મળતું હોય ત્યાં જ લગ્ન કરવાં જોઈએ. લવમેરેજ કરવા ઈચ્છનાર વ્યક્તિઓ માટે જૂન મહિના પછીનો સમય વધારે અનુકૂળ રહેશે.  સાહસિક કાર્ય થોડું વિચારીને કરવું જોઈએ. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતાં દંપતિઓને ૨૦૨૪નું વર્ષ સારું પરિણામ આપશે. જે દંપતિને શારીરિક તકલીફ હોય તેઓ જો આ વર્ષે જરુરી મેડિકલ ટ્રીટમેન્ટ લઈને પણ સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે તે યોગ્ય સમયે શુભ ફળની અપેક્ષા ચોક્કસ રાખી શકાય તેમ છે. 

જોબ, બિઝનેસ અને કરીઅર 

આ રાશિના જાતકો, કે જે ધંધા સાથે સંકળાયેલા છે, તેમના માટે નવું સાહસ કરીને બિઝનેસ આગળ વધારવાના યોગ સારા બને છે. ધંધામાં પ્રગતિ કરી શકાશે. મહેનતના પ્રમાણમાં યોગ્ય લાભ મેળવી શકાશે. ગ્રહ બળના આધારે શુભ પરિણામ મેળવી શકાશે. ધન સ્થાનમાં મૂળ ત્રિકોણ રાશિનો શનિ ભ્રમણ કરતો હોવાથી આથક લાભ થાય આવા યોગ બને છે. નોકરીમાં પ્રગતિ અને પ્રમોશન માટે આ વર્ષ અનુકૂળ રહેશે. તેથી યોગ્ય સમયે યોગ્ય પરિવર્તન કરવું અને યોગ્ય નિર્ણય લેવો. આવું કરશો તો તો વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થશે. શેર માર્કેટ સાથે સંકળાયેલા આ રાશિના જાતકો માટે ૨૦૨૪નું વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. શેર માર્કેટમાં રોકાણ કરતી વખતે પહેલાં ખૂબ સારા ફન્ડામેન્ટલ્સવાળી કંપનીઓનો અભ્યાસ કરવો અને પૂરું હોમ વર્ક કર્યા પછી જ જે-તે શેરમાં રોકાણ કરવું 

દેશ-દેશાવર

આ રાશિના જાતકો જો પરદેશ જવાની ઈચ્છા રાખતા હશે તો તેમને મે ૨૦૨૪ પછીનો સમય શુભ પરિણામ આપે તેવા યોગ છે. ડોક્યુમેન્ટમાં ક્યાંક કચાશ રહી જશે તો વિઝા ન મળે, એવું શક્ય છે. 

નારી તું નારાયણી

આ રાશિવાળી વ્યક્તિઓ માટે પરિવારમાં વૃદ્ધિ થાય તેમ જ આથક બાબતોમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ છે. બગડેલા સંબંધોને સારી ભાષાથી સુધારી શકાય તેવા યોગ ૨૦૨૪માં આ રાશિની બહેનો માટે બને છે. સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતી બહેનોને ૨૦૨૪નું વર્ષ શુભ ફળની પ્રાપ્તિ આપનારું બની રહેશે. પરદેશમાં સંતાનો રહેતાં હશે તો તેમને મળવાના યોગ આ આ વર્ષે ખૂબ સારા બને છે. લગ્ન કરવા ઈચ્છુક બહેનો માટે પણ આ વર્ષ ખૂબ સારા સંજોગો ઊભા કરે તેવા યોગ છે. નોકરી કરવા ઈચ્છનાર તેમજ નોકરીમાં પ્રગતિ તેમજ બઢતી મેળવવા ઈચ્છનાર વ્યક્તિઓને આ વરસ પૂરતા પ્રયત્ન કરવાથી કાર્ય સફળતા મેળવી શકાશે

વિશેષ ઉપાય

વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ - આ ત્રણ ત્રિકોણની રાશી છે. મકર રાશિના જાતકોએ શનિ મહારાજની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિ ચાલીસાના પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. શનિદેવના મંત્રજાપ કરવા જોઈએ. શુક્ર અને બુધના મંત્રજાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ મેળવી શકાશે તેમજ જીવનમાં આવનારા અશુભ તત્ત્વો અને વિઘ્નોને દૂર કરી શકાશે. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી અને કમળનું ફૂલ ચડાવવું. બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી.


Google NewsGoogle News