અમરનાથની ગુફામાં આજે પણ છે બે અમર કબૂતરોની જોડી! જાણો પૌરાણિક કથા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અમરનાથની ગુફામાં આજે પણ છે બે અમર કબૂતરોની જોડી! જાણો પૌરાણિક કથા 1 - image


જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથ ધામ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે સંકળાયેલું શિવ અને શક્તિ બંનેનું પ્રતીક છે. આખી પૃથ્વી પર માત્ર અહીં જ ભગવાન શંકર હિમલિંગના રૂપમાં દેખાય છે. અમરનાથ ધામની યાત્રા 29 જૂનથી શરૂ થઈ ગઇ છે. અહીં તમામ મુશ્કેલીઓ, અવરોધો અને જોખમો હોવા છતાં, દર વર્ષે ભક્તોનો ધસારો રહે છે. 

એવી માન્યતાઓ છે કે, મહર્ષિ ભૃગુ એ અમરનાથ ગુફાની પ્રથમ મુલાકાત લીધી હતી. બાબા બર્ફાની સાથે જોડાયેલી બીજી ઘણી ચોંકાવનારી વાતો છે. જે જાણીને તમને નવાઇ લાગશે. 

અમરત્વની વાર્તા અને કબૂતરની જોડી

પુરાણો અનુસાર, ભગવાન શિવ માતા પાર્વતીને અમરત્વની વાર્તા કહેવા માટે આ ગુફામાં લાવ્યા હતા. કથા દરમિયાન માતા પાર્વતીને ઉંઘ આવી ગઇ. પરંતુ ત્યાં હાજર કબૂતરોની જોડી ભગવાન શિવની કથા સાંભળતી રહી. આ સમય દરમિયાન કબુતરોની જોડી સતત અવાજો કરતી રહી, જેના કારણે ભગવાન શિવને લાગ્યું કે પાર્વતીજી કથા સાંભળી રહ્યાં છે. 

કથા સાંભળવાને કારણે આ કબૂતરોએ પણ અમરત્વ પ્રાપ્ત કર્યું. અને આજે પણ અમરનાથ ગુફાની મુલાકાત વખતે કબૂતર જોવા મળે છે. નવાઈની વાત એ છે કે આ કબૂતરો જ્યાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ નહિવત્ હોય છે અને જ્યાં દૂર-દૂર સુધી ખાવા પીવાનું પણ કોઈ સાધન નથી ત્યાં જોવા મળે છે. અહીં કબૂતરો જોવાને શિવ-પાર્વતીના દર્શન કરવા સમાન માનવામાં આવે છે.

અમરનાથ ગુફાનો પૌરાણિક ઇતિહાસ

મહર્ષિ કશ્યપ અને મહર્ષિ ભૃગુનું વર્ણન પણ અમરનાથ ગુફાના પૌરાણિક ઇતિહાસમાં જોવા મળે છે. એકવાર પૃથ્વી પરનું સ્વર્ગ કાશ્મીર ડૂબી ગયું અને એક મોટા તળાવમાં ફેરવાઈ ગયું. વિશ્વના કલ્યાણ માટે ઋષિ કશ્યપે તે પાણી નાની નદીઓ દ્વારા મોકલ્યું હતું. તે સમયે ભૃગુ ઋષિ હિમાલયની યાત્રાએ નીકળ્યા હતા. નીચા પાણીના સ્તરને કારણે, મહર્ષિ ભૃગુએ હિમાલયની પર્વતમાળાઓમાં અમરનાથની પવિત્ર ગુફા અને બાબા બર્ફાનીના શિવલિંગને સૌથી પહેલા જોયા હતા.


Google NewsGoogle News