રાજસ્થાનમાં 24 મે સુધીના લૉકડાઉનને પગલે અરવલ્લીની રતનપુર બોર્ડર સીલ
- રાજસ્થાન પ્રવેશબંધી : 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનનો પ્રારંભ
- પોલીસ અને આરોગ્યની ટીમો બોર્ડર પર ચેકિંગ માટે ગોઠવાઈ : કેટલાય વાહન ચાલકોને પરત ફરવું પડયું
મોડાસા,તા.10
વિશ્વભરમાં મહામારી
સર્જનાર કોરોના સંક્રમણને નાથવા ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાન સરકારે ૧૪ દિવસનું
સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.૨૪ મી મે સુધી અમલી બનાવાયેલ આ રાજય વ્યાપી લોકડાઉનની
અમલવારીનો આરંભ ૧૦ મી મે થી કરાતા રાજસ્થાનની રતનપુર સહિતની અન્ય બોર્ડરો સીલ કરી
દેવાઈ હતી. બોર્ડરો સીલ કરી પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકીંગ હાથ ધરતાં
કેટલાય વાહન ચાલકોને બોર્ડરે થી જ પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે રાજસ્થાન
સરકારે આ લોકડાઉનના અમલની જાહેરાત અગાઉથી જ કરી દીધી હોય હાલાકી નીવારી શકાઈ
હતી.પરંતુ ગુજરાત-રાજસ્થાનની ઉન્ડવા,હિંમતપુર,કાલીયાકુવા સહિતની અંતરીયાળ બોર્ડરોએથી
ગુજરાતમાં પ્રવેશતા પરપ્રાંતીયો ઉપર રોક લગાવાય તેવી માંગ ઉઠી હતી.
રાજસ્થાનમાં વધતા જતાં
કોરોના સંક્રમણને નાથવા ગેહલોત સરકારે સમગ્ર રાજસ્થાનમાં ૧૪ દિવસનું સંપૂર્ણ
લોકડાઉન લાગુ પડાયું છે. ૧૦ મી મે થી ૨૪ મે
સુધીના આ લોકડાઉનની અમલવારીનો આરંભ સોમવારથી થતાં જ રાજસ્થાન સરકાર દ્વારા
બોર્ડરો ઉપર ઠેરઠેર મંડપ બાંધી પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકીંગ હાથ
ધર્યું હતું.ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડરે ચેકીંગ સહિત માર્ગદર્શન ની કામગીરી
બજાવી રહેલા રાજસ્થાન આરોગ્ય વિભાગના કર્મી લોકેન્દ્ર કલાલે જણાવ્યું હતું કે આ લોકડાઉન દરમ્યાન માત્ર આવશ્યક સેવા સાથે
જોડાયેલ અને માલ વાહન વાહનો જ પસાર થઈ શકશે. જયારે મુસાફરો એ પ્રવેશ માટે
આટીપીસીઆરનો નેગેટીવ રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.રતનપુર બોર્ડરે ચેકીંગ કરાયું છે
અને આ ચેકીંગને પગલે કેટલાય વાહનોને પરત કરાયા હતા.ત્યારે રાજસ્થાનના અંતરીયાળ
વિસ્તારોમાંથી બોર્ડર પાસ કરી ગુજરાતમાં આવી જતાં મોટીસંખ્યામાં પરપ્રાંતીયો ને
અટકાવવા અરવલ્લી પોલીસે પ્રયાશ સઘન બનાવવાનો રહેશે એવી માંગ ઉઠી છે.