અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માત્ર 12 જ ખેડૂતો આવ્યા
- અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
- 150 ખેડૂતોને તંત્રએ બોલાવ્યા : જિલ્લામાં 12 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
મોડાસા,તા. 10
અરવલ્લી જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
થવાની હતી.પરંતુ પુરવઠા વિભાગે એકપણ ખેડૂતને મેસેજ ન કરતાં લાભ પાંચમે ખરીદ કેન્દ્રો
ઠપ થઈ ગયા હતા. જિલ્લામાં ખરીદી કેન્દ્રો પર પ્રથમ દિવસે ખરીદી બંધ રહેતાં બીજા દિવસે
મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી. જેમાં ૧૫૦ ખેડૂતોને મેસેજ કરતાં ૧૨ ખેડૂતો આવ્યા હતા.
જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન ૬૩ હજારથી વધુ
હેકટરમાં મગફળીનું વાવેતર હાથ ધરાયું હતું.સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી
ખરીદવાના રજીસ્ટ્રેશન શરૂ કરતાં જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ૬૦ ટકા જેટલા ખેડૂતોએ
ટેકાના ભાવે મગફળી વેચવા માટે તૈયારી દર્શાવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨ હજાર
કરતાં વધુ ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે. લાભ પાંચમથી જિલ્લાના
માર્કેટયાર્ડ ખરીદ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ કરવાની હતી. પરંતુ તંત્રની બેદરકારી
ના કારણે લાભપાંચમે ખરીદી શરૂ થઈ ન હતી. જયારે બીજા દિવસે ૧૫૦ ખેડૂતોને મેસેજ કરતાં
૧૨ ખેડૂતો મગફળી વેચવા માટે મોડસા યાર્ડ ખાતે આવ્યા હતા.રાજય સરકારે ચાલુ વર્ષે મગફળીનો
ટેકાનો ભાવ રૂ.૧૧૧૦ ઠરાવી લાભપાંચમથી મગફળી ખરીદવા આઠ કેન્દ્રો નિર્ધારીત કર્યા હતા.પરંતુ
જિલ્લાના યાર્ડ ખાતે મગફળી ખરીદીના બીજા દિવસે ૧૨ ખેડૂતો જ આવ્યા હતા.