Get The App

મોડાસા માર્કેટયાર્ડમાં સપ્તાહમાં મગફળીની 24 હજાર અને સોયાબીનની 15 હજાર બોરીની આવક

- દિ૫ાવલી પર્વને લઈ જિલ્લાના યાર્ડો ખેત પેદાશોની આવકથી ધમધમી ઉઠયા

- એક જ દિવસમાં માર્કેટયાર્ડમાં મગફળીની ૩૮૦૦ બોરીની આવક : સોયાબીનના ટેકાના ભાવ 3950 સામે ખુલ્લા બજારમાં સરેરાશ રૂ.4725ના ક્વિન્ટલના ભાવે ખરીદાયું

Updated: Oct 31st, 2021


Google News
Google News
મોડાસા માર્કેટયાર્ડમાં સપ્તાહમાં મગફળીની 24 હજાર અને સોયાબીનની 15 હજાર બોરીની આવક 1 - image

મોડાસા,તા.30

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વરસાદની ખેંચ વચ્ચે પણ આશરે ૨ લાખ હેકટરમાં રવિપાકોનું વાવેતર ખેડૂતો દ્વારા હાથ ધરાયું હતું. સીઝનના આખરે હવે મગફળી,સોયાબીન,કપાસ અને અડદ સહિતના તૈયાર પાકો વેચવા માટે ખેડૂતો જિલ્લાના માર્કેટયાર્ડોમાં ઉમટી રહયા છે. દિપાવલી પર્વને લઈ હાલ જિલ્લાભરના માર્કેટયાર્ડો ખેત પેદાશોની આવકથી ધમધમી ઉઠયા છે. ત્યારે સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ કરતા ખેડૂતોને ખુલ્લા બજારોમાં મળી રહેલા સારા ભાવોથી યાર્ડો ખરીફ પાકોની આવકથી ઉભરાઈ રહયા છે. શનીવારના રોજ મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીની ૩૮૦૦ બોરી જયારે છેલ્લા એક અઠવાડીયામાં મગફળીની ૨૪ હજાર અને સોયાબીનની ૧૫ હજાર બોરીની આવક નોંધાઈ હતી.

જિલ્લામાં આ વર્ષે ૨ લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર હાથ ધરાયું હતું.ખરીફ પાકોના વાવેતર સામે પાછોતરા વરસાદ બાદ જિલ્લામાં આ વર્ષે ૨.૮૦ લાખ ટનથી વધુ ઉત્પાદનની ગણતરીઓ મંડાઈ હતી. ત્યારે હવે દિપાવલી પર્વે પોતાની જણસ વેચવા ખેડૂતો મોટીસંખ્યામાં જિલ્લાના માર્કેટયાર્ડોમાં ઉમટી રહયા છે.

 જિલ્લામાં ૬૬૬૨૩ હેકટરમાં મગફળીના વાવેતર સામે ૧.૩૯ લાખ ટન જયારે ૩૦૬૨૧ હેકટરમાં સોયાબીનના વાવેતર સામે ૪૨૮૬૯ ટન ઉત્પાદનના લક્ષ્યાંક સામે જિલ્લાના માર્કેટયાર્ડો હાલ મગફળી અને સોયાબીનની ધૂમ આવકથી ઉભરાઈ રહયા છે.

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ભાસ્કર ભટ્ટના જણાવ્યા મુજબ મોડાસા યાર્ડમાં જ છેલ્લા એક અઠવાડીયામાં મગફળીની આશરે ૨૪ હજાર જયારે સોયાબીનની ૧૫ હજાર બોરીની આવક સાથે અડદ,કપાસ,મકાઈ, અને ઘઉં સહિતના પાકોની મોટાપ્રમાણમાં આવક થઈ રહી છે. અને ખુલ્લી હરાજીમાં ખેડૂતોને યોગ્ય ભાવો પણ મળી રહયા છે. 

છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન  ખેડૂતોને કર્વાલીટીવાળી મગફળીના સરેરાશ પ્રતિ કવીન્ટલ રૂ.૪૭૨૫,અડદના રૂ.૪૬૫૦, કપાસના રૂ.૭૭૫૦ઘઉંના સરેરાશ પ્રતિ કવીન્ટલ સરેરાશ રૂ.૨૦૧૫ અને મકાઈના રૂ.૧૬૮૦ લેખે ભાવ મળી રહયા છે. ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાતો સામે દર વર્ષે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં તંત્ર દ્વારા ઢીલાશ વર્તવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોને જરૂરીયાતોને લઈ ખુલ્લા બજારમાં ખેત પેદાશો વેચવાનો વારો આવી રહયો છે. પરંતુ ખુલ્લા બજારમાં હરાજીથી મળતા સારા ભાવોથી આ વર્ષે ખેડૂતોમાં મોટી રાહત વર્તાઈ રહી છે.

મોડાસા માર્કેટયાર્ડ એક અઠવાડીયુ બંધ રહેશે

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ભાસ્કરભાઈના જણાવ્યા મુજબ દિપાવલી પર્વને લઈ ૨ નવેમ્બરને મંગળવારથી મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે. ૯મી નવેમ્બરનેમંગળવારે લાભ પાંચમના દિને માર્કેટયાર્ડ ખુલતાં મુહર્તના સોદા થશે.આમ એક અઠવાડીયા દરમ્યાન માર્કેટયાર્ડ બંધ રહેશે.

Tags :
market-yard

Google News
Google News