હિટ એન્ડ રનમાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું
- આસોદર રેલવે ફાટક નજીક
- અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છૂટતા ફરિયાદ નોંધાઇ
આંકલાવ તાલુકાના મોજ કુવા ગામે રહેતા વિજયભાઈ ઉર્ફે તબલક ગોહિલના પડોશીએ ગતરોજ તેઓના ઘર નજીક રોડની સાઈડમાં આવેલા રામદેવજી મંદિરે ધામક કાર્યક્રમ રાખ્યો હતો. વિજયભાઈ સહિતનો પરિવાર ધામક કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો.રાત્રિના સમયે તેઓની માતા કાંતાબેન રામદેવજી મંદિર નજીક આકલાવ આસોદર રોડની સામે આવેલા તેમના ઘરનો દરવાજો બંધ કરવા જવા નીકળ્યા હતા.
દરમિયાન તેઓ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે રેલવે ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લેતા રોડ પર પટકાયા હતા. દરમિયાન સ્થાનિકોએ ૧૦૮ ને જાણ કરતાં ગંભીર રીતે ઘવાયેલ કાંતાબેનને સારવાર અર્થે આકલાવના સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારના સુમારે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આકલાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.