વિદ્યાર્થીઓએ કુશળતા અને જ્ઞાનનો વિકાસ કરવો જરૂરી : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓએ કુશળતા અને જ્ઞાનનો વિકાસ કરવો જરૂરી : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ 1 - image


- તેજ ગતિએ વિકાસ પામતા વિશ્વમાં

- ઈરમાના 43 મા દિક્ષાંત સમારોહમાં રૂરલ મેનેજમેન્ટના 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત

આણંદ : વિશ્વ તેજ ગતિએ વિકાસ પામી રહ્યું છે અને તે મુજબ વિદ્યાર્થીઓએ તેમની કુશળતા અને જ્ઞાનનો વિકાસ કરવો જરૂરી છે તેમ જણાવતા ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ઈન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા)ના નવસ્નાતકોને આજીવન શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબધ્ધ રહેવા વિનંતી કરી હતી. આજે ઈરમાના ૪૩મા દિક્ષાંત સમારોહમાં રૂરલ મેનેજમેન્ટમાં ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

ભારતના ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ આજે ટી.કે. પટેલ ઓડિટોરીયમ ખાતે ઈરમાના ૪૩મા દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ડૉ. મિનેશ શાહ (ચેરમેન, ઈરમા) અને ડો.ઉમાકાંત દાસ (ડીરેક્ટર ઈરમા) પણ જોડાયા હતા. 

સમારોહ દરમ્યાન કુલ-૩૦૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. દિક્ષાંત સમારોહ પૂર્વે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એનડીડીબી દ્વારા ટેકનીકલ કન્સલ્ટન્સીના ધોરણે બાંધવામા આવેલ ૧૨૬ રૂમની હોસ્ટેલ બ્લોક નું પણ ઉદ્ઘાટન કરાયું હતું. 

ઈરમાના ચેરમેન સહિતના સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સરઘસમાં જોડાયા પછી દિક્ષાંત સમારોહની શરૂઆત થઈ હતી. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ઈરમાના સ્થાપક અધ્યક્ષ સ્વ.ડો.વર્ગીસ કુરિયનને રાષ્ટ્ર પરની તેમની અસર ગહન ગણાવીને યાદ કર્યા હતા. 

રાષ્ટ્રના ભાવિને આકાર આપનાર એનડીડીબી, ઈરમા સહિતની વિવિધ સંસ્થાઓના યોગદાનને યાદ કરતા તેઓએ ૨૦૨૪ના સ્નાતક વર્ગને તેઓની નોંધપાત્ર સિધ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા અને હવે સ્નાતકો બહારની દુનિયામાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ શ્રેષ્ઠતા, અખંડિતતા અને સેવાના મૂલ્યોને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

 ડો.મિનેશ શાહે જણાવ્યું હતું કે આજે ખાદ્ય સુરક્ષા, મહિલા સશક્તિકરણ, તકનીકી નવિનતાઓ અને ઉદ્યોગ સાહસિક વિકાસ તરફ કામ કરવાની પૂરતી તકો આપતા પરિવર્તનના માર્ગ પર છે અને આપણે ટેકનોલોજીને સ્વીકારવી પડશે. દિક્ષાંત સમારોહમાં ૩૦૩ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી હતી જ્યારે ૨૬૫ વિદ્યાર્થીઓએ પીજીડીએમ (આર.એમ.) ડિગ્રી મેળવી હતી. બાકીના ૩૭ વિદ્યાર્થીઓને પીજીડીએમ (આર.એમ. એક્ઝીક્યુટીવ) ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી.


Google NewsGoogle News