આણંદ જિલ્લાના 10 પાલિકા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર, વાહનચાલકો પરેશાન
- રોડ પરના 2,500 ખાડાઓ પુરી તંત્રએ સંતોષ માન્યો
- વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડની સત્વરે મરામત કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગણી
ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રીપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવતા વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તાબા હેઠળની ૨૬ નગરપાલિકાઓમાં ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ નગરપાલિકા વિસ્તારોમાં કુલ-૪૮૯૩ ખાડાઓ પેચવર્ક કરીને પુરવામાં આવ્યા છે. જેમાં આણંદમાં ૯૯૬, ખંભાતમાં ૨૬, બોરસદમાં ૩૩, પેટલાદમાં ૫૬, ઉમરેઠમાં ૩૭, કરમસદમાં ૧૦૨, આંકલાવમાં ૧૫૬, ઓડમાં ૨૪૩, બોરીયાવીમાં ૭૪૫ અને સોજિત્રામાં ૯૫ ખાડાઓને પેચવર્ક કરી પુરવામાં આવ્યા હોવાનું નગરપાલિકાના કમિશનરની કચેરીના અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે.
આણંદ જિલ્લાની દસ નગરપાલિકા વિસ્તારોમાં ૨૫૦૦ જેટલા ખાડાઓનું પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જો કે આ આંકડાઓ સામે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાનો સૂર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોના જાહેર માર્ગો છેલ્લા ઘણા સમયથી સાવ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા છે. પાલિકા તંત્રની ટીમો દ્વારા કેટલાક વિસ્તારોમાં ખાડાઓને પુરવા માટે પેચવર્કનું કામ કર્યાના ગણતરીના દિવસોમાં પુનઃ જે-તે માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે.