આંકલાવના આસોદર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
- બુધવારે સવારે હિટ એન્ડ રન નો બનાવ બન્યો
- રાહદારી 20 ફૂટ દુર સુધી ઢસડાયો, ઘટનાસ્થળે જ મોત થઇ ગયું
આંકલાવ તાલુકાના આસોદર ચોકડી બ્રીજ ઉપર આજે સવારના લગભગ દશેક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો પુરુષ પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન કોઈ વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી આ અજાણ્યા પુરુષને અડફેટે લેતા તેના શરીરના વિવિધ અંગો છૂટા પડી ગયા હતા અને અજાણ્યા શખ્સનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. સાથે સાથે અજાણ્યા વાહન સાથે આ શખ્સનો મૃતદેહ લગભગ ૨૦ ફૂટ સુધી ઢસડાતા મૃતદેહ વિકૃત હાલતમાં ફેરવાઈ ગયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતને પગલે માર્ગ પરતી પસાર થતા અન્ય વાહન ચાલકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આ અંગે આંકલાવ પોલીસને જાણ કરતા આંકલાવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રીસથી પાંત્રીસ વર્ષના આશરાના શખ્સનો મૃતદેહ કબજે લઈ આંકલાવ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.