નાપા તળપદ નજીક કારની અડફેટે માતાનું મોત, પુત્રને ગંભીર ઈજા
- કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
- વિદ્યાનગરથી ખરીદી કરીને બાઈક પર આવી રહેલા માતા-પુત્રને અકસ્માત નડયો
બોરસદ ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ વાઘેલાના પત્ની રીટાબેન અને પુત્ર નિકુંજ મંગળવારે મોટરસાયકલ ઉપર વિદ્યાનગર ખાતે ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કર્યા બાદ માતા-પુત્ર બંને મોટરસાયકલ પર સવાર થઈ પરત બોરસદ જવા નીકળ્યા હતા.
સાંજના સાડાચાર વાગ્યાની આસપાસ તેઓ નાપા તળપદ ગામના જીમખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી એક કારે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા માતા-પુત્ર બંને રોડ પટ પટકાયા હતા.
અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્ર બંનેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતાની હાલત ગંભીર હોઈ તેઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે રીટાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કિશોરભાઈ પોપટભાઈ વાઘેલાએ બોરસદ ગ્રામ્ય પોલીસમ થકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.