આંકલાવના રામપુરા ખાતે જમીન મામલે ધિંગાણું, સાતને ઇજા
- 2 જુથો વચ્ચે સામસામે મારામારી થઇ
- ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા, ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસની ટીમોએ ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ સાંપડયા છે.
આંકલાવ તાલુકાના રામપુરા રોડ ઉપર આવેલ એક ખેતરમાં હિન્દુ પરિવારના કેટલાક સભ્યો મજૂરી કામ કરી રહ્યાં હતાં. દરમ્યાન કોઈ કારણોસર મુસ્લિમ પરિવારના એક જૂથે હુમલો કરતા ધિંગાણુ સર્જાયું હતું. બંને પક્ષે થયેલ મારામારીમાં સાત જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા આંકલાવ પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના પડઘા અન્ય વિસ્તારમાં ન પડે તે હેતુથી પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.